સભામાં 22 જેટલી સમાજ તેમજ સંગઠનના પ્રમુખ અને અગ્રણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચોની હાજરી સાથે ઉમટેલી વિશાળ જનમેદનીને સંબોધતા વલસાડ-ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમરગામ તાલુકામાંથી રેકોર્ડ બ્રેક માર્જિન મળવાનો વ્યક્ત કરેલો આશાવાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: વલસાડ ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે આજે સરીગામ ગણેશ નગર ખાતે પ્રચાર અર્થે વિશાળ સભાને સંબોધી હતી. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારશ્રીની અનેક લોક કલ્યાણકારી યોજનાઓથી સભાને માહિતગાર કરી હતી. ઉપરાંત દેશની વધી રહેલી આર્થિક વ્યવસ્થા તેમજ દેશની સુરક્ષા ખાતર સીમા ઉપર કરવામાં આવી રહેલી કામગીરી સાથે કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ 370 જેવા મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા સાહસભર્યાનીતિવિષયક નિર્ણયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબૂત કરવા માટે મતદારોને ભાજપ પક્ષ તરફ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આજની સભા સરીગામના અગ્રણી શ્રી મનીષભાઈ રાય ઉર્ફે બાલારાય, શ્રી પ્રતીકભાઈ રાય, શ્રી કિર્તીભાઈ રાય તેમજ એમની કાર્યકર્તાની વિશાળ ટીમના સંચાલન હેઠળ યોજવામાં આવી હતી. એમાં 22 જેટલી સમાજ અને સંગઠનના પ્રમુખો તેમજ અગ્રણી કાર્યકર્તાઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચોએ ઉમેદવાર શ્રી ધવલ પટેલનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભકામના પાઠવી હતી.
આજની સભામાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર તેમજ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીએ પણ વિરોધ પક્ષની તૃષ્ટિકરણની રાજનીતિને આડેહાથ લેતા સભાને સંબોધી હતી. એમણે ઉમરગામ તાલુકામાંથી વધુમાં વધુ મતદાન થાય અને ભાજપના ઉમેદવાર શ્રી ધવલ પટેલને મોટા માર્જિનની લીડ પ્રાપ્ત થાય એ દિશામાં કામ કરવા કાર્યકર્તાઓને અપીલ અને મતદારોને મતદાન કરવા જણાવ્યું હતું.