(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ઓલગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા પ્રોજેક્ટના વલસાડ તાલુકાના બીટીએમ (બ્લોક ટેકનોલોજી મેનેજર) કેવલ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ (૧) જીવામૃત, (૨) બીજામૃત, (૩) આચ્છાદન, (૪) વાફ્સા અને (૫) મિશ્ર પાક પધ્ધતિ વિશે સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત થાય તો તેવી રીતે નિયંત્રણ કરવુ તે માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રની માહિતી આપી હતી. બાગાયત ખાતાના વલસાડ તાલુકાના બાગાયત અધિકારી ડો.વિશાલ ગાર્ગે અને ઉમરગામ તાલુકાના બાગાયત અધિકારી મોહિનીબેન દ્વારા મહિલા સશક્તિકરણ હેતુ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.
