-
ગયા વર્ષે દાનહ અને દમણ-દીવમાં ભયાનક હદે વકરેલા કોરોનાના રોગચાળાને નાથવા પ્રશાસને ખાનગી હોસ્પિટલોને આપેલી કોવિડ સેન્ટર શરૂ કરવા પરવાનગી
-
દેશભરમાં સૌથી ઓછા દરે પ્રદેશની ખાનગી હોસ્પિટલોમાંશક્ય બનેલી કોરોનાની સારવાર
ગયા વર્ષે 15મી એપ્રિલ બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક હદે વણસી હતી. પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈ સંઘપ્રદેશમાં ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ-સેન્ટર શરૂ કરવા પરવાનગી આપી હતી અને ઓક્સિજનની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા કરાઈ હતી.
સંઘપ્રદેશ પ્રશાસને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવારના દર પણ નિર્ધારીત કર્યા હતા અને દેશમાં સૌથી ઓછા દરે પ્રદેશના લોકોને કોવિડ-19ની ઉત્કૃષ્ટ સારવાર મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેના કારણે સરકારી હોસ્પિટલો ઉપરથી ભારણ પણ ઓછુ થયું હતું.
આજે, એક વર્ષ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થિતિમાં ઘણો સુધારો છે. અત્યારે ઘણા લાંબા સમયથી પ્રદેશમાં કોરોના પોઝિટીવીટી રેટ ઝીરો છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણનો દર વધી રહ્યો છે ત્યારે, પ્રદેશ પ્રશાસન અને લોકોએ પણ અગમચેતીના પગલાં ભરવા જરૂરી બન્યા છે.
ગયા વર્ષે યુદ્ધના સ્તરે લીધેલા પગલાં અને થયેલી કેટલીક શરતચૂકમાંથી બોધપાઠ લઈ હવે ફરી પાછું સંક્રમણ નહી ફેલાય તેની કાળજી રાખવી ખુબ જરૂરી બની છે. પ્રશાસનિક પ્રયાસોથી ધારેલા પરિણામમળવા સંભવ નથી, પરંતુ પ્રજાની સહભાગીદારી જોડાશે તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે. હવે ફરી બે ગજનું અંતર અને માસ્કના કવચને હથિયાર બનાવવું પડશે.
એક્સ્ટ્રા કોમેન્ટ : ગયા વર્ષે કોરોના બેકાબૂ બનવા છતાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી હોસ્પિટલોમાં દાખલ કોરોના દર્દીઓના સાજા થવાની સંખ્યા ઘણી વધુ હતી. હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ થનારાઓની સંખ્યા પણ નહિવત હતી. પરંતુ જેઓ વધુ સારી સારવાર માટે પ્રદેશની બહાર ગયા હતા તે પૈકીના ઘણાને કાળ ભરખી ગયો હતો.