દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગભગ તમામ મુખ્ય રોડનાકામો પૂર્ણઃ નળથી જળની સુવિધા પણ સંતોષજનકઃ લગભગ સો ટકા ઘરોમાં વીજળીનું કનેક્શન
આંતરિક રસ્તાના કામો આવતા છ-આઠ મહિનામાં પૂર્ણ કરવા સરપંચ મુકેશ ગોસાવીએ પ્રગટ કરેલો વિશ્વાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત પોતાના 62મા સ્થાપના દિવસના ઉજવણીના કાર્યક્રમમાં શિક્ષણ અને વિકાસનો સમન્વય જોવા મળ્યો હતો. દમણવાડા ગ્રામ પંચાયતે શિક્ષણમાં અગ્રેસર બનવા તરફ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. જેના કારણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નિર્ધારિત સમય પર શિક્ષણને પ્રોત્સાહન આપનારા અનેક કાર્યક્રમોનું આયોજન છેલ્લા 4 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે.
આજે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના શબ્દોને ટાંકી જણાવ્યું હતું કે, સમાજની ગરીબી દૂર કરવાનું અમોઘ શષા શિક્ષણ છે. તેમણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણના ક્ષેત્રે કરેલી ક્રાંતિકારી પહેલની જાણકારી આપી પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત બાદ ઉચ્ચ અભ્યાસક્રમની લગભગ તમામ વિદ્યાશાખાઓનો પ્રારંભ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ ગયો હોવાથી હવે પ્રદેશના વિદ્યાર્થીઓની પણ શિક્ષણ ભૂખ ઉઘડી હોવાની લાગણી પ્રગટ કરી હતી.
શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે પ્રદેશે માળખાગત વિકાસના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતમાં છેલ્લા 4 વર્ષમાં થયેલા વિકાસકામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઢોલરથી જમ્પોર સુધીનો આર.સી.સી. ખુબ જ સુંદર અને ટકાઉ બન્યો છે. ફૂટપાથના નિર્માણનું કામ પણ પ્રગતિ ઉપર છે અને ખુબ જ ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઈટો પણ લાગવાની હોવાની જાણકારી આપી હતી. તેમણે ભાઠૈયાથી ઢોલર અને વર્ષોથી પડતર રહેલા બોરિયા તળાવના આર.સી.સી. રોડનો પણ ઉલ્લેખ કર્યો હતો. મગરવાડા છ રસ્તાથી ભામટી મેઈન રોડ સુધી અને જૂના ગામથી ભામટી સુધીના રોડનું પણ નિર્માણ થઈ ચુક્યુ હોવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક આંતરિક રસ્તાઓના કામ બાકી છે. જે આવતા છ-આઠ મહિનામાં શરૂ થઈ જશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દેશના અનેક મોટા મોટા નેતાઓએ આ લાઈબ્રેરીની મુલાકાત લઈ ખુબ જ પ્રશંસા કરી છે. તેમણે સંઘપ્રદેશ પ્રશાસનની વગોવણી કરનારા તત્ત્વોથી સાવધાન રહી તેમને યોગ્ય જવાબ આપવા પ્રેરિત કર્યાહતા. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસનનો જે વિકાસ થયો છે તે મજબૂત નેતૃત્વ વગર સંભવ જ નહીં હતો.