-
દેશમાં મોદી સરકાર અને ભાજપ જ એવો પક્ષ છે જે પરિવાર કે પૈસાની તાકાત જોઈને નહીં પરંતુ વ્યક્તિની ક્ષમતાને પારખીને ટિકીટ આપે છેઃ સુશીલાબેન ભીમરા
-
દાનહના પૂર્વ ચીફ કાઉન્સેલર અને આદિવાસી કામદાર નેતા સ્વ. ભીખુભાઈ ભીમરાના ધર્મપત્ની હોવાથી સુશીલાબેન સાથે જોડાયેલું વ્યાપક જન સમર્થન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
શનિવારે રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા અને દાનહના પૂર્વ ચીફ કાઉન્સેલર સ્વ. ભીખુભાઈ વનસાભાઈ ભીમરાના પત્ની શ્રીમતી સુશીલાબેન ભીમરાએ ભાજપની કંઠી બાંધતા ખાનવેલ વિસ્તારમાં ભાજપ મજબુત બનવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી મનોજ તિવારી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીમતી સુશિલાબેન ભીખુભાઈ ભીમરાએ તેમના સેંકડો ટેકેદારો સાથે શનિવારે ભાજપની કંઠી બાંધી હતી અને લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા પોતાનો સંકલ્પ પણ જાહેર કર્યો હતો.
શ્રીમતીસુશિલાબેન ભીખુભાઈ ભીમરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકાર અને ભાજપ જ એવો પક્ષ છે જે પરિવાર કે પૈસાની તાકાત જોઈને નહીં પરંતુ વ્યક્તિની ક્ષમતાને પારખીને ટિકીટ આપે છે. શ્રી મહેશભાઈ ગાવિત પણ સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં તેમની પાસે શિક્ષણ, અનુભવ અને રજૂઆત કરવાની આવડત છે. જે અન્ય કોઈ ઉમેદવાર પાસે નથી.
શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીની કાયાપલટ ભાજપના કારણે જ શક્ય બની છે. આજે આપણા આદિવાસી બાળકો સરળતાથી ડોક્ટર કે એન્જિનિયર બની શકે એવું માળખું ગોઠવાયું છે. ભય અને આતંકનું રાજ સમાપ્ત થયું છે અને જેમની પાસે લાયકાત હોય તેઓ આગળ આવી શકે એવું વાતાવરણ બન્યું છે. તેથી પ્રદેશના વિકાસ સમૃદ્ધિ અને શાંતિ માટે ભાજપને મત આપી પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ખાવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત, શ્રી ગોવિંદા શેટ્ટી, શ્રી અલ્તાફભાઈ ખુટલીવાલા, શ્રી સોનજીભાઈ કુરકુટિયા, શ્રી અનિલભાઈ દિક્ષિત, શ્રી લાડકભાઈ મિશાલ, શ્રી અબ્દુલભાઈ, શ્રીમતી કુમુદબેન, શ્રી ગોપીભાઈ ગુપ્તા, શ્રી શૈલેષ દુમાડા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.