-
દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે કુલ 36000 ચો.મી. જમીન શરતભંગથી લેવાયેલ હોવાથી પરત સરકારના નામે ચઢાવવા કરેલો આદેશ
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં સરકારી જમીન ઉપર કરાયેલા દબાણો હટાવી પરત લેવા શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધી કરોડો રૂપિયાની લાખો ચો. મી. જગ્યા પરત લેવા સરકારને મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.30
દીવ જિલ્લામાં અઝારો અને કોહિનુર હોટલના માલિક ફુગ્રો પરિવારના નામે નવ પી.ટી.એસ. નંબરમાં ચાલી આવતી આશરે 30500 ચો.મીટર જમીન તથા નવિનચંદ્ર ગાંધીના નામે એક પી.ટી.એસ. નંબરમાં ચાલી આવતી આશરે 5656 ચો.મીટર જમીન મળી કુલ આશરે 36000 ચો.મીટર જમીન આજે સરકાર હસ્તક કરવાનો હુકમ કલેક્ટર શ્રીમતી સલોની રાયે કરતા સંઘપ્રદેશના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં સરકારી જમીન ઉપર કરાયેલા દબાણો હટાવી પરત લેવા શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધી લાખો ચોરસ મીટર જગ્યા સરકાર પાછી મેળવવા સફળ રહ્યું છે. જેની બજાર કિંમત કરોડોરૂપિયાને આંબી જાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવ શહેરમાં મુખ્ય માર્ગ ઉપર આવેલ ખુબ જ કિંમતી અને મોકાની ક્લાસ-ર વાળી જમીન વર્ષ 1979માં અલગ-અલગ નામની વ્યક્તિઓને સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. આ જમીન સરકારે ભૂમિહિન ખેડૂતોને ખેતી કરી આજીવિકા રળવા જમીન ફાળવી હતી. પરંતુ જમીન ફાળવણીના ચાર-છ વર્ષના સમયગાળામાં કલ્પના ડિસ્ટલરીના માલિક /ભાગીદાર કેશવ ફુગ્રોને વેચાણ આપવા અંગેના લખાણો કરવામાં આવ્યા હતા અને આ તમામ ક્લાસ-ર વાળી જમીન 10 પી.ટી.એસ. નંબરની આશરે 36000 ચો.મીટરવાળી જમીનના કોઈપણ પ્રકારના રજીસ્ટર દસ્તાવેજ કરાવ્યા વિના તથા દીવ કલેક્ટરની મંજુરી મેળવ્યા વિના વર્ષ 2005માં કોહિનુર હોટલના નામે ચઢાવી દેવામાં આવી હતી તે જમીનના કેસ શ્રીમતી સલોની રાયની કોર્ટમાં ચાલી જતા આજે દીવ કલેક્ટર દ્વારા આ બધીજ જમીન શરતભંગના કારણોસર સરકાર હસ્તક દાખલ કરવાનો શિરમોર હુકમ કરાયો હતો.