શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓએ રાતભર કોલેજ પ્રાંગણમાં ધરણાં કરી વિરોધ ચાલુ રાખ્યો
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી તા.09
ધરમપુર બિલપુડી ગામે આવેલ વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમની પડતર માંગણીઓ માટે ગાંધીચિંધ્યા રાહે છેલ્લા 36 કલાકથી મામલતદાર કચેરી પ્રાંગણમાં ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે.
બિલપુડીની વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઘણાં લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે કે શાળા ઈમારતનું મકાન અત્યંત જર્જરિત અવસ્થામાં છે. જેમાં જીવના જોખમે અભ્યાસ કરવો પડી રહ્યો છે. સંચાલક મંડળના બહેરા કાને વિદ્યાર્થીઓની માંગણીઓ નહીં સંભળાતા આખરે વિદ્યાર્થીઓએ ગાંધીચિંધ્યા રાહે આંદોલનનો રસ્તો અખત્યાર કરી લીધો છે. ગઈકાલે મૌન રેલી યોજી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ ધરમપુર મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણાં-પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ આંદોલનને 36 કલાકનો સમય વિતી ગયો છે. રાત્રિ દરમિયાન પણ વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં પણ રાતભર તેમના ધરણાં ચાલુ જ રાખ્યા હતા. જર્જરિત મકાનના નવા બાંધકામમાટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી નહીં થતા છેવટે વિદ્યાર્થીઓએ ગાંધીધિંચ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓની અડીખમ માંગણી છે કે કોલેજ મંડળને દૂર કરવામાં આવે અને જર્જરિત મકાનની સમસ્યાનો વહેલામાં વહલો હલ કાઢવામાં આવે. આ ટાણે ચોમેરની વિદ્યાર્થી આંદોલનને ટેકો મળી રહ્યો છે. જેમાં રાજકીય નેતાઓ તથા વાલીઓ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓને એલ.સી. આપવાની પણ ધમકીઓ મળી રહી છે તેવું વિદ્યાર્થીઓ જણાવે છે. વિદ્યાર્થીઓનું મૌન આંદોલન આજે પણ યથાવત ચાલુ રહ્યું હતું.