-
પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવ માટે બતાવેલા પોતાના વિઝનને બહુમતી લોકો તેને હથેળીમાં ચાંદ બતાવ્યો હોવાનું માનતા હતા, પરંતુ સાડા પાંચ વર્ષ બાદ પ્રોજેક્ટો સાકાર થતાં ભાંગેલો ભ્રમ
-
અગામી દાયકા-બે દાયકામાં દાનહ અને દમણ-દીવના પરિવર્તનના પાયા ઉપર ચણાનારી મજબૂત અને શ્રેષ્ઠ માનવબળની ઈમારત સાક્ષી પૂરશે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના લગભગ સાડા પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે કાર્યકાળ સંભાળ્યાનું લગભગ સવા વર્ષ એટલે કે પંદર મહિના જેટલો સમય પૂર્ણ થયો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂઆતમાં તેમના દ્વારા બતાવવામાં આવેલ વિકાસની ઝાંખી ઉપર કોઈને ભરોસો બેસતો નહી હતો. બહુમતી લોકો એવું માનતા હતા કે શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા બતાવવામાં આવેલ વિકાસનું વિઝન ફક્ત ફાઈલમાં કેદ બનીને રહી જશે. કારણ કે, અત્યાર સુધી આવેલા લગભગ તમામ પ્રશાસકોના ‘વિઝન’ અજ્ઞાત ‘રીઝન’ સાથે ફાઈલથી બહાર નીકળી જ નહી શક્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલે પ્રદેશમાં માળખાગત સુવિધાના વિસ્તાર માટે રસ્તાના વિસ્તૃતિકરણની કરેલી પહેલનો વિરોધ થયો હતો. બીચ રોડના નિર્માણ માટે અનેક અવરોધો પેદા કરાયા હતા. પ્રદેશમાં મેડિકલ કોલેજનો આરંભ દિવાસ્વપ્ન લાગતું હતું. પરંતુ આજે સાડા પાંચ વર્ષ બાદ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે કોઈની પણ પરવાહ કર્યા વગર વિકાસ કામને આપેલા અંજામથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની સિકલ અને રોનક બંને બદલાઈ ચૂકી છે. શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ચરણોમાં વંદન કરી તેમને વધાવી રહ્યા છે. તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પણ થઈ રહેલા પરિવર્તનનો શરૂઆતમાં વિરોધ થયો છે. પરંતુ હાલમાં જે રીતે લક્ષદ્વીપની કાયાપલટ થઈ રહી છે. તે જોતા આવતા દિવસોમાં લક્ષદ્વીપના લકને ચાર ચાંદ લગાવવા બદલ શ્રી પ્રફુલભાઈ પટેલના ગુણગાન ગવાશે એમા કોઈ સંદેહ દેખાતો નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી પ્રફુલભાઈ પટેલે કોઈ ચૂંટણી લડવી નથી કે અહી સ્થાયી પણ થવું નથી. પરંતુ ભારત સરકારે પ્રશાસકના પદને આપેલી શક્તિનો તેમણે ઉપયોગ કરી પ્રદેશના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે કરેલા પ્રયાસનું ફળ આજે મળી રહ્યું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કરોડો રૂપિયાની લાખો ચોરસ મીટર સરકારીજગ્યા ઉપર કરેલા દબાણને દુર કરાવી આ જગ્યાનો વપરાશ ભવિષ્યમાં સાર્વજનિક હિત માટે થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરાવવા પણ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ સફળ રહ્યા છે. પ્રદેશમાં કાયદાનું રાજ કેવું હોય તેની પ્રતિતિ પણ સામાન્ય જનતાને થઈ રહી છે. ભૂતકાળમાં ફરિયાદીને આરોપી અને આરોપીને ફરિયાદી બનાવવા ચાલતા પ્રપંચ ઉપર રોક લગાવી ચમરબંધી પણ કાયદાના પાલનમાંથી બાકાત નહી હોવાનું ભાન પણ અનેક કિસ્સાઓમાં કરાવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે યોજનાઓની જાહેરાત કર્યા બાદ તેને પૂર્ણ કરવા માટે પોતાની તમામ શક્તિ કામે લગાવે છે, તે રીતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ કરેલી તમામ જાહેરાતોના કાર્ય તેમના કાર્યકાળમાં જ પૂર્ણ થાય તેની તકેદારી પણ લીધી છે. આજે સાડા પાંચ વર્ષ પહેલાના દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવેલા પરિવર્તનને નજીકથી જોઈ શકાય છે.
આજે સાડા પાંચ વર્ષ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની સમજણમાં પણ પરિવર્તન આવ્યું છે. શિક્ષણ અને શૈક્ષણિક ગતિવિધીનો પ્રભાવ વધ્યો છે. પ્રદેશમાં નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી તમામમાં સ્વચ્છતાના સંસ્કારનું પણ સિંચન થયું છે. પ્રદેશ માટે આ નાની ઉપલબ્ધિ નથી, પરંતુ અગામી દાયકા-બે દાયકામાં દાદરાનગર હવેલી અને દમણ-દીવના પરિવર્તનના નંખાયેલા પાયા ઉપર ચણાનારી મજબૂત અને શ્રેષ્ઠ માનવબળની ઈમારત સાક્ષી પૂરશે.