અંબાચ, રાતા, સલવાવ ગામના રહીશોના મકાનમાં ક્વોરીના બ્લાસ્ટથી તિરાડો પડે છેઃ કેટલાક વર્ષથી સ્થાનિકો લડત ચલાવી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02
અંબાચ ગામમાં કોલક નદી પટમાં કેટલાક વર્ષથી રેતી-કપચી-પથ્થરોની ક્વોરી કાર્યરત છે. જેના બ્લાસ્ટીંગથી આજુબાજુના રાતા, સલવાવ જેવા ગામોના મકાનોમાં તિરાડો પડી રહી છે તેથી સ્થાનિક પંચાયતોએ ગ્રામસભાઓ યોજી ક્વોરી લીઝ બંધ કરવાની માંગણી 2018 થી કરી લડત ચલાવાઈ રહી છે તે અંતર્ગત આજે ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓ દ્વારા રેલી કાઢીને પારડી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી લખાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંબાચ ગામે સર્વે નં.151/3 બ તથા152, 153માં કોલક નદીના પટમાં શ્રી રમેશભાઈ માધવજીભાઈ વૈષ્ણવી રહે.પારડી 19/3/12 થી 10 વર્ષ માટે લીઝ આપવામાં આવી હતી તે મુજબ મુદત પુરી થયા બાદ પણ મેળાપીપણામાં હજુ લીઝ ચાલુ રાખી ક્વોરીનું કામકાજ ચલાવી રાખેલ છે જેથી અંબાચ, રાતા, સલવાવ વિસ્તારના ગામોના ઘરો અને પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે. તેથી આ ક્વોરી બંધ કરવા આજે આદિવાસી આગેવાનોએ પારડીમાં વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું.