વલસાડ તાલુકાની 28 વર્ષીય પરિણીતાને 45 વર્ષીય પડોશી જેઠ માનસિક ત્રાસ આપતો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ તાલુકાના નજીકના એક ગામમાં રહેતી 28 વર્ષીય પરિણીતાને પડોશમાં રહેતો કૌટુંબિક જેઠ પીછો કરી ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપતો હોવાથી પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી હતી. જેથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પરિણીતાએ 181 અભયમને જણાવ્યું કે, 45 વર્ષીય કૌટુંબિક જેઠ કોઈપણ કારણ વગર પોતાના ઘર નજીક બેસી મ્હેણાં-ટોળા મારી માનસિક ત્રાસ આપતો હતો. ગામના છોકરા સાથે મારા આડા સંબંધ એવી ખોટી વાત કરી બદનામ કરતો હોવાથી ઝઘડા ચાલી આવતા હતા. ઘણીવાર પીછો કરી ધાક ધમકીઓ પણ આપતો હતો કે, તારા પરિવારને જાનથી મારી નાંખીશ. જેથી તેના ત્રાસથી પોતે અને પરિવાજનો કંટાળી જતા 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. અભયમની ટીમે કૌટુંબિક જેઠનું કાઉન્સેલિંગ કરી તેની ભૂલ પ્રત્યે ભાન કરાવી કાયદાકીય માર્ગદર્શન આપી જણાવ્યું કે, આવા કળત્યથી ગુનો દાખલ થતો હોય છે. જેથી સામાવાળાને પોતાની ભૂલ સમજાતા હવે પછી પોતે આવી ભૂલ ન કરે તેમ જણાવી માફી માંગતા બંને પક્ષો દ્વારા સમાધાનકરવામાં આવ્યું હતું. જેથી પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો આભાર માન્યો હતો.