28મી ઓગસ્ટ, ર003ના રોજ નાની અને મોટી દમણને જોડતો દમણગંગા નદી ઉપરનો પુલ ધ્વસ્ત થતાં શાળાના 28 વિદ્યાર્થીઓ, 1 શિક્ષક અને 1 રાહદારી મળી કુલ 30 વ્યક્તિઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23
18 વર્ષ પહેલા થયેલી દમણ પૂલ દુર્ઘટનાની આજે દમણના ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી અમિત પી.કોકાટેએ સુનાવણી કરતા જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક એન્જિનિયર ભરત ગુપ્તા, સહાયક એન્જિનિયર ધીરુભાઈ પ્રભાકર અને આસિ. સર્વેયર ઓફ વર્ક્સ ઈશ્વરદત્ત શાંતારામ તલેકરને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા અને રૂા.16500ના દંડનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 28મીઓગસ્ટ, ર003ના રોજ નાની અને મોટી દમણને જોડવાવાળા દમણનો પુલ તુટતા તેમાં શાળામાં અભ્યાસ કરતા 28 બાળકો, 1 શિક્ષક અને 1 રાહદારી મળી કુલ 30 વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનામાં દમણ પોલીસે આઈપીસીની 304(એ), 337, 338,427 તથા જાહેર સંપત્તિના નુકસાન હેઠળની કલમ 3 અને4 અંતર્ગત કેસ દર્જ કરી પોલીસે સાત વ્યક્તિઓને આરોપી બનાવી તેમની ધરપકડ કરી 18મી ઓગસ્ટ, 2008ના રોજ દમણ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરી હતી. પરંતુ ત્યારબાદ મુંબઈ હાઈકોર્ટના આદેશથી દમણગંગા પુલ દર્ઘટના પ્રકરણમાં ફક્ત આઈપીસીની કલમ 304(એ) અંતર્ગત જ કાર્યવાહી થઈ હતી.
18 વર્ષ જુના આ પ્રકરણને લઈ દમણના ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ સામે થયેલી સુનાવણી બાદ સીજીએમ શ્રી અમિત પી.કોકાટેએ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર ભરત ગુપ્તા, સહાયક એન્જિનિયર ધીરુભાઈ પ્રભાકર અને જાહેર બાંધકામ વિભાગના આસિ.સર્વેયર ઓફ વર્ક્સ ઈશ્વરદત્ત તલેકરને દોષિત ઠેરવી બે વર્ષની જેલ અને 16500 રૂપિયાના દંડની સજા સંભાળવી હતી. આ પ્રકરણમાં એક આરોપી બી.સી.મોદીને છોડી દેવામાં આવ્યા હતા અને ત્રણ આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ ઘટનામાં સરકારી પબ્લીક પ્રોસિક્યુટર શ્રી રામમુકુંદ દેશપાંડેએ જોરદાર દલીલ કરી હતી.