વલસાડ જિલ્લામાં અંદાજે ૫૪ હજાર બાળકોને કોર્બેવેક્સ રસીકરણનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: કોરોના વાઇરસની ત્રીજી લહેર તથા નવા વેરીયન્ટ ઓમિક્રોનનાં કેસોની ગતિ હાલ મંદ પડી છે. કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટેના પ્રયત્નો અને અટકાયતી પગલાંના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોવિડ – ૧૯ રોગપ્રતિકારક રસીકરણ અભિયાનનાં પ્રથમ તબક્કામાં હેલ્થ કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને, બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયનાં અને ૪૫ વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે, અને હાલ ત્રીજા તબક્કામાં ૧૫ થી ૧૮ વર્ષ તેમજ ૧૮ વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓને રસીકરણની કામગીરી ખુબજ સુંદર રીતે ચાલી રહી છે.
હાલમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષ વચ્ચેનાં બાળકોને કોરોના મહામારીનાં સંક્રમણથી રક્ષણ આપવા માટે તા. ૧૬/૦૩/૨૦૨૨ થી રસીકરણની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૨૦૦૮, ૨૦૦૯ અને ૧૫મી માર્ચ ૨૦૧૦ પહેલાં જન્મેલા તમામ બાળકો આ રસીકરણ માટે પાત્રતા ધરાવશે. જે અનુસાર વલસાડ જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના વયજુથમાં અંદાજીત ૫૪ હજાર બાળકોને કોર્બેવેકસ રસી આપવાનું સુચારુ આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. બાળકોનાં રસીક૨ણ માટે કો-વીન પોર્ટલ ઉપરાંત રસીકરણ કેન્દ્રો ઉપર સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકશે. વેક્સિન સ્લોટ બુકિંગ માટે બાળકોનાં આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રનો ઉપયોગ કરી શકશે. શાળાએ જતા બાળકોને શાળામાં અને શાળાએ ન જતા બાળકોને ઘરે-ઘરે જઇને રસી આપવામાં આવશે.
૧૨ થી ૧૪ વર્ષનાં વય જુથનાં બાળકો કોવિડ- ૧૯ ૨સીક૨ણનો વધુમાં વધુ બાળકો લાભ લે એ માટે બાળકોનાં વાલીઓને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. રસીકરણ કેન્દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની https://valsaddp.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર દૈનિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવશે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.