તસવીર અહેવાલ દીપક સોલંકી
નવા બોર્ડને રાજ્યના ખાંડ(સુગર) નિયામક દ્વારા મંજૂરી આપવામાં આવતા ચેરમેન સહિતનાઓ દ્વારા કેબિનેટ મંત્રીની મુલાકાત લઈ આભાર વ્યક્ત કર્યો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ),તા.28
શ્રી કાવેરી વિભાગ ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ના નિયામક મંડળીની મુદ્દતમાં વધારા માટેની દરખાસ્ત છેલ્લા કેટલાક સમયથી અટકેલી હતી. જેમાં ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી ઝવેરભાઈ સહિતનાઓની ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેબિનેટ શ્રી મંત્રી નરેશભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પાંચાલને રજૂઆત બાદ રાજ્યના ખાંડ નિયામક દ્વારા મુદ્દતમાં વધારા સાથે નવા બોર્ડને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપના મયંકભાઈ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ સહિતના ત્રણ જેટલા નવા ડિરેક્ટરો ઉપરાંત ખૂંધના મગનભાઈ, તલાવચોરાના શ્રી બાબુભાઈ, ગોડથલના ડો. વિનોદભાઈ ગાયકવાડ, આછવણીના શ્રી ચુનિભાઈ, ઉપસળના શ્રી રામભાઈ, ખાંભડાના શ્રી ભરતભાઈ, ચિતાલીના શ્રી નવનીતભાઈ, શ્રી ઘોડમાળના સંતુભાઈ ગાંવિત, સરકારી પ્રતિનિધિમાં સિયાદાના શ્રી હર્ષદભાઈ પટેલનો સમાવેશ થાય છે.
ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ સહિતનાઓએ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની મુલાકાત લઈ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત ડિરેક્ટરો ડો. અશ્વિનભાઈ પટેલ, શ્રી મયંકભાઈ પટેલ, શ્રી ધર્મેશભાઈ પટેલ, ઇન્ચાર્જ એમડી શ્રી પાટીલ સહિતના જોડાયાહતા.
ત્રીજી વખત કાવેરી સુગરના ચેરમેન પદે નિયુક્ત થયેલા શ્રી આનંદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સાદડવેલ ગામે કાવેરી સુગરનું બાંધકામ 80 ટકા પૂર્ણ થયેલ છે અને હવે મશીનરી ગોઠવવાની બાકી છે. સરકારનો પણ હકારાત્મક અભિગમ છે ત્યારે ટૂંકા સમયમાં કાવેરી સુગર ધમધમતી થઈ જશે એમ જણાવ્યું હતું.