(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04:
વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, વલસાડ, તથા જિલ્લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્લા/ તાલુકા સેવાસદનના પરિસરથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.15/03/2022 સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યક્તિઓ/ વ્યક્તિઓને એકીસાથે કોઇપણ જગ્યાએ ભેગા થઈને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિતઓને, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્સામાં લાગુ પડશે નહીં.