-
દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ : આનંદીબેન પટેલ
-
સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં સ્નેહ, સમર્પણ અનેશૌર્યના પ્રતિક એવા ગુલાબી રંગના પરિધાનથી સજ્જ મહિલાઓથી દિપી ઉઠેલો ખંડ
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સંઘપ્રદેશનું ભવિષ્ય ઉજ્જવળ : આનંદીબેન પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08
આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે નાની દમણનું સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ અને આજુબાજુનો વિસ્તાર સ્નેહ, સમર્પણ અને શૌર્યના પ્રતિક એવા ગુલાબી રંગની આભાથી દિપી ઉઠયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓ અને મુખ્ય અતિથિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પણ ગુલાબી સાડીમાં સજ્જ થઈને આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પોતાના વક્તવ્યમાં સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આદરેલી વિકાસ યાત્રાની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે તેમણે સંગઠનથી લઈ સરકારમાં સાથે કામ કર્યુ છે. ત્યારે એમણે સંગઠન અને સરકારને મજબૂતી પ્રદાન કરવા પણ સતત પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જે કામ પહેલા ગુજરાત સરકારને મજબૂતી આપવા કરી રહ્યા હતા. તે હવે તમારા લોકોની વચ્ચે અને તમારા સહકારથી સમગ્ર પ્રદેશને ઉત્તમ બનાવવામાટે તમારા પ્રદેશમાં કરી રહ્યા છે અને તે માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ અભિનંદનને પણ પાત્ર હોવાનું જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ આજે મહિલાઓનું સન્માન કરી રહ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં અવ્વલ રહેલી મહિલાઓનું સન્માન કરવું પણ જોઈએ. સમાજમાં વિવિધ પડકારો સહન કરી આગળ વધતી મહિલાઓનું સન્માન કરવું આવશ્યક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબીના કારણે મહિલાઓને પોષણયુક્ત ખોરાક નહી મળવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની હોય છે. સરકારે એવી યોજના બનાવવાની જરૂરીયાત છે કે જેમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં આવવાવાળા બાળકો અને સાથે ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત ખોરાક મળી શકે.
યુ.પી.ના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કુપોષણ માટે જવાબદાર બાળ વિવાહની પ્રથા છે. જેને બંધ કરવા તેમણે આહ્વાન કર્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 15-16 વર્ષની મહિલા ગર્ભવતી થાય તો તે કુપોષિત બાળકને જ જન્મ આપશે. તેમણે કન્યાઓમાં હિમોગ્લોબીનની રહેતી કમી ઉપર પણ પ્રકાશ પાડયો હતો. તેમણે દિકરીઓ પ્રત્યે ભેદભાવ નહી રાખવા પણ શીખામણ આપી હતી. જો દિકરાને 100 મીલી લિટર દુધ આપવામાંઆવે તો દિકરીને 150 મીલી લિટર દુધ આપવું જોઈએ. કારણ કે, દિકરી ભવિષ્યમાં માતા બનવાની છે. આવી માતા જ સશક્ત બાળકને જન્મ આપી દેશનું ઉજ્જવળ ભવિષ્ય કરવાની સાથે સંસ્કારનું સિંચન પણ કરી શકે છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ0 ટકા મહિલાઓ માટે આરક્ષિત બેઠકો રાખવા બદલ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમનું આ સ્વપ્ન હતું. શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓની સુરક્ષાની બાબત પણ ખુબ જરૂરી છે અને તેમા મહિલાઓની ભાગીદારી પણ હોવી જોઈએ. સંઘપ્રદેશ પ્રશાસને પોલીસ ભરતીમાં 33 ટકા મહિલાઓ માટે આરક્ષિત કરેલી બેઠક બદલ પણ પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.
રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સરપંચોને નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં પાંચ વર્ષથી ઉપરનું તમામ બાળક પ્રાથમિક શાળાના પહેલા વર્ષમાં પહોંચે, ત્રણ વર્ષના તમામ બાળકો આંગણવાડીમાં આવે, ગર્ભવતી મહિલાઓની પ્રસૂતિ હોસ્પિટલમાં જ થાય તે સુનિヘતિ કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ દ્વારા પોતાનાઆરોગ્યની કાળજી નહી લેવાના કારણે ગર્ભાશય અને સ્તનનું કેન્સર સૌથી વધુ થતું હોય છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સરકારી કોલેજના કેમ્પસમાં નારી સશક્તિકરણની પ્રતિમાનું અનાવરણ પણ કર્યુ હતું અને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી.
પ્રારંભમાં દમણના જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવે પોતાના સ્વાગત વક્તવ્યમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશથી પ્રદેશમાં થઈ રહેલા વિકાસ કામોની જાણકારી આપી હતી. સમાપન અને આભાર વિધિ સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી ભાનુપ્રભાએ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સાંઈ કલા કેન્દ્ર દમણની વિદ્યાર્થીનીઓએ દુર્ગા વંદના નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. રાસ-ગરબાની રમઝટ પણ માણી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલનું ઉષ્માભેર અભિવાદન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, શ્રી ડી.એ.સત્યા, અધિકારીઓ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભંવર, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વસાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા), શ્રી સીતારામભાઈ ગવળી, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી આર.કે.કુન્દનાની, દમણ હોટલ એસોસિએશનના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ મીરામાર સહિત ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, કાઉન્સિલરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ રહી હતી.
…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની દિર્ઘદૃષ્ટિનો આપેલો પરિચય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08
નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્ય અતિથિ પદે આયોજીત ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં ડાયસ ઉપર તમામ મહિલાઓને જ સ્થાન આપી સંઘપ્રદેશ પ્રશાસને આજે એક આવકારદાયક પહેલ કરી હતી. જેના સંપૂર્ણ શ્રેયના અધિકારી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની બાજુમાં પ્રશાસકશ્રી માટે રાખવામાં આવેલ ખુરશી ઉપર દમણના પદ્મશ્રી શ્રીમતી પ્રભાબેન શાહને બિરાજમાન કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની દિર્ઘદૃષ્ટિનો પણ પરિચય આપ્યો હતો.