(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ જિલ્લાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(એનઆરએચએમ)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્કારને આજે દીવના કલેક્ટર શ્રી ફરમન બ્રહ્માએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન(એનઆરએચએમ)ની ટીમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી દીવ જિલ્લાએ 2019ના વર્ષમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો હતો. જેને આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કરકમળમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રી ફરમન બ્રહ્માએ સુપ્રત કર્યો હતો.