(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14
કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કળષિ યુનિવર્સિટી, પરીયા, તા. પારડી અને આત્મા પ્રોજેક્ટ, વલસાડના સંયુક્ત ઉપક્રમે તા. 07 થી 11 માર્ચ 2022 દરમિયાન ‘‘ટેક્નોલોજી સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાના કુલ 254 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના વડા સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડૉ. સાગર જે. પાટીલ, તથા અન્ય વૈજ્ઞાનિકોએ સંસ્થાનો પરિચય તેમજ કેન્દ્ર ખાતે થતી વિવિધ કામગીરી, આંબા તથા કાજુ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આંબાની વિવિધ જાતોની પસંદગી તેમજ નવી વાડીનું આગોતરું આયોજન, સંકલિત પોષણ વ્યવસ્થાપન, સંકલિત રોગ-જીવાત નિયંત્રણ, આંબાની જૂની વાડીનું નવિનીકરણ, સજીવ ખેતી, આંબામાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતી અને નર્સરી વ્યવસ્થાપન વગેરે વિવિધ વિષયો ઉપર તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને પરીયા ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આંબાની કલમ કરવાની વિવિધ પદ્ધતીઓ, નવસારી કળષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ ટેક્નોલોજી જેવી કે નૌરોજી સ્ટોનહાઉસ ફળમાખી ટ્રેપ, જૈવિક જંતુનાશકો, જૈવિક ખાતરો, આંતરરાષ્ટ્રીય પેટેન્ટ ધરાવતા નોવેલસેંદ્રિય પ્રવાહી ખાતર વગેરે પદ્ધતિનું નિદર્શન દ્વારા ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને તેમનો ઉપયોગ કરવા વિશે હાકલ કરી હતી. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની વૈજ્ઞાનિકો દ્વારા ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સપ્તાહ ઉજવણી દરમિયાન તા. 8 માર્ચ 2022 ના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.
Previous post
Next Post