વિવિધ 10 કમિટીની રચના કરાઈ : મુખ્ય માર્ગ ઉપર ગેટ અને સ્વાગત બેનરો લગાવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: અમદાવાદ એસ.જી. હાઈવે જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની પાટીદાર સમાજની કુળદેવી માઁ ઉમિયાનું ભવ્ય ગગનચુંબી મંદિર બની રહ્યું છે ત્યારે માતાજીનો દિવ્ય રથ પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના જિલ્લાઓ ફરી રહ્યો છે. તે અંતર્ગત આગામી તા.05 અને 06 જૂનના રોજ વાપી વિસ્તારમાં પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે શનિવારે રાત્રે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ભવનમાં મીટિંગ યોજાઈ હતી.
ઉમિયા માતાજીનો દિવ્ય રથ વાપીમાં ભ્રમણ કરવાનો હોવાથી બે દિવસના મહોત્સવની તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. વાપી વિસ્તારમાં વસતા ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પાટીદાર પરિવારો માતાજીના દિવ્ય રથના સ્વાગત અને પરિભ્રમણ માટે થનગની રહ્યો છે તે માટે વિવિધ 10 કમિટીની રચના, સ્વાગત વિવિધ ગેટ અને બેનરોનું આયોજન હાથ ધરાઈ ચુક્યુ છે તે એટલી જ શ્રધ્ધા અને આસ્થા સાથે દાનની પણ અવિરત સરવાણી ચાલુ થઈ છે. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ભવનમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજની મીટિંગ આયોજક સમિતી તરફથી સતિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તથા મહિલા મંડળ તરફથી ગીતાબેન પટેલએ આયોજનની સવિસ્તાર વિસ્તૃત માહિતી આપી હતી. આગામી તા.26 કે 27 મે ના રોજ સમસ્ત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પાટીદાર પરિવારોની મુખ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.