-
શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી અને માછી મહાજનના વરિષ્ઠ પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
-
દમણગંગા નદીના કિનારે બની રહેલા ભવ્ય અને મનમોહક ઘાટ આગળ દરરોજ નિયમિત આરતીનું આયોજન કરવા માછી મહાજનના પ્રતિનિધિ મંડળે આપેલી સહમતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15
ગઈકાલ સોમવારે શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી અને દમણ માછી મહાજનના વરિષ્ઠ પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈ તેમના દ્વારા થઈ રહેલા વિકાસના કામો બદલ આભાર પ્રગટ પણ કર્યો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે સંઘપ્રદેશમાં આવી રહેલી ક્રાંતિથી પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા અને આવતા દિવસોમાં પ્રદેશમાં શરૂ થનારી નવી શિક્ષણ સંસ્થાઓ અને વિવિધ અભ્યાસક્રમોનો સ્થાનિક લોકોને લાભ લેવા પ્રેરિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક ક્રાંતિથી સંઘપ્રદેશની ભવિષ્યની પેઢીને નવા સ્વપ્ન સાકાર કરવા અનેક નવા અવસરો મળશે.
પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે નાની દમણ સમુદ્ર કિનારે ચાલી રહેલા વિકાસકામોથી આવતા દિવસોમાં સ્થાનિક લોકોના જીવનમાં ખુશી અને નવી તકો ઉપલબ્ધ થશે. તેમણે દમણગંગા નદીના કિનારે ભવ્ય અને મનમોહક ઘાટનું નિર્માણ કાર્ય ખુબજ ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે, અહીં દરરોજ અવિરત આરતીનું આયોજન કરવા માછી મહાજનના પ્રતિનિધિઓને આગ્રહ કર્યો હતો. માછી મહાજનના પ્રતિનિધિ મંડળે દમણગંગા ઘાટ ઉપર દરરોજ નિયમિત ભવ્ય આરતીના આયોજન ઉપર પોતાની સહમતી દર્શાવી હતી.
પ્રારંભમાં શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી તથા શ્રી માછી મહાજન દમણના પ્રતિનિધિ મંડળે શ્રી માછી મહાજન કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા કાર્યરત બી.એડ.ના વર્ગ માટે અપાતી ગ્રાન્ટ-ઈન-એઈડ બંધ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયથી વિદ્યાર્થીઓને પડનારી અસર વિશે ચર્ચા કરવા પહેલા જ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આ મુદ્દાના સુખદ નિરાકરણ માટે આપેલા સંકેતથી પ્રતિનિધિ મંડળ સંતુષ્ટ થવા પામ્યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે માછી મહાજન દ્વારા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનની પણ સરાહના કરી હતી.