કલેક્ટર સૌરભ મિશ્રાએ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મૂળ નિવાસીઓનું સ્મૃતિ ચિહ્ન આપીને કરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પહેલ અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં આજે દમણ ખાતે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ ભવનનાસભાખંડમાં સાંજે 5:30 વાગ્યે આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્થાયી બનેલા આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, પંજાબ, તમિલનાડુ તથા સંઘપ્રદેશ પોંડીચેરી અને લક્ષદ્વીપ, તથા અંદામાન નિકોબાર દ્વીપના મૂળ નિવાસીઓએ ભાગ લીધો હતો. જેમાં દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ શ્રી સૌરભ મિશ્રાએ વિવિધ રાજ્યો અને સંઘપ્રદેશોના મૂળ નિવાસીઓને સ્મૃતિ ચિહ્ન આપીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ સંઘપ્રદેશમાં વસતા વિવિધ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકોને તેમના રાજ્યો અને સંઘપ્રદેશોના સ્થાપના દિવસની શુભેચ્છા આપી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. શ્રી સૌરભ મિશ્રાએ સંબોધનમાં વિવિધ રાજ્યો અને સંઘપ્રદેશોના મૂળ નિવાસીઓના સંબંધિત સ્થળોનો સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્યું હતું કે, બીજા રાજ્યોનો સ્થાપના દિવસ ઉજવવાથી સામાજિક એકતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને બળ મળે છે. કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિચારથીપ્રેરિત આ કાર્યક્રમ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાને વધારે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કલા, સંગીત, નૃત્ય, ભોજન, રમત-ગમત વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એકબીજા સાથે જોડે છે. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહ, દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘ તથા ડી.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ શ્રી આર.કે.કુંદનાની સહિત મોટી સંખ્યામાં દમણ સહિત અન્ય રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સમાજને એકતા, સમરસતા અને વિશ્વાસની સાથે જોડવાનો હતો. આ વિચાર ભારતીય સાંસ્કૃતિક વિવિધતાને સમૃદ્ધ કરવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને દેશને ગર્વ અપાવવા માટે છે. આ ઉદ્દેશની સાથે ભારતના વિવિધ ભાગોના લોકોની વચ્ચે સાંસ્કૃતિક, ભાષા, સાહિત્યિક અને વૈજ્ઞાનિક જ્ઞાનની આપ-લે તથા ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.