પ્રશંસા ફાઉન્ડેશન વડોદરા અને સત્ય શોધક સભા-સુરતના સંયુક્ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં ‘લોક મીડિયા થી જનજાગૃતિ’ વિષય ઉપર પ્રશિક્ષણ અને કાર્યશાળા શિબિરનો આરંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22
સરકારી કોલેજ દમણમાં ‘પ્રશંસા ફાઉન્ડેશન વડોદરા’ અને ‘સત્ય શોધક સભા-સુરત’ના સંયુક્ત ઉપક્રમે લોક મીડિયાથી જન જાગૃતિ વિષય ઉપર તારીખ રરમી માર્ચથી રપમી માર્ચ, ર0રર સુધી યોજાનારા પ્રશિક્ષણ અને કાર્યશાળા શિબિરનો શુભારંભ આજે સંઘપ્રદેશના હાયર એજ્યુકેશન સચિવ શ્રીમતી સલોની રાયે કરાવ્યો હતો.
આ પ્રસંગે હાયર એજ્યુકેશન સચિવ શ્રીમતી સલોની રાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના સોશિયલ મીડિયાના દોરમાં લોકકળાના સામર્થ્યને નવેસરથી ઓળખી આપણે દેશની બહુમતી વસ્તીને પોતાના સમય અને સમાજમાટે જરૂરી મુદ્દાઓ અને વિષયો સાથે જોડી તેમને જાગૃત બનાવી શકીએ છીએ. આમ કરી આપણે ફક્ત લોકો, લોકકળા અને લોકભાષાઓનું સન્માન જ નહીં કરીશું પરંતુ આપણી નવી પેઢીને પણ લોકકળાના સંરક્ષણ માટે જવાબદારીથી સભાન કરી શકીશું. તેમણે દમણની સરકારી કોલેજમાં લોક મીડિયાથી જનજાગૃતિ વિષય ઉપર શરૂ થયેલ પ્રશિક્ષણ અને કાર્યશાળાની સરાહના પણ કરી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ ગુજરાતની અધ્યક્ષ અને કૃષિ વૈજ્ઞાનિક ડો. કનકલત્તા સિંહાએ પોતાના વક્તવ્યમાં લોક કલ્યાણના માધ્યમથી પ્રજામાં સ્વસ્થ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાની જરૂરીયાત ઉપર જોર આપ્યું હતું.
કાર્યક્રમના સંયોજક ડો.ભાવેશકુમાર વાળાએ કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી.
સત્ય શોધક સભા-સુરતના અધ્યક્ષ શ્રી સિદ્ધાર્થ બગામીએ પોતાના સંબોધનમાં સામાજિક કુરિવાજો અને અંધવિશ્વાસ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે લોક મીડિયાની આવશ્યકતા ગણાવી હતી. પ્રશંસા ફાઉન્ડેશન વડોદરાના અધ્યક્ષ શ્રી સંજીવ સિંહાએ પ્રશંસા ફાઉન્ડેશન સાથે જોડાયેલા પોતાના કાર્ય અનુભવોને વિવિધ ઉદાહરણો સાથે રસાળ શૈલીમાં વર્ણવી નવી પેઢીને લોક સંચાર માધ્યમો અને લોક કલાના પ્રભાવશાળી વિવિધ રૂપથી જોડાવા અને જોડવા ઉપર જોર આપ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમનાસંયોજક ડો. ભાવેશ વાળા અને સુશ્રી નેહા મિશ્રાએ રરમી માર્ચથી રપમી માર્ચ સુધી યોજાનારા પ્રશિક્ષણ અને કાર્યશાળાની રૂપરેખા રજૂ કરી હતી.
પ્રારંભમાં દમણની સરકારી કોલેજના પ્રિન્સીપાલ ડો. સંજયકુમારે ભારતની ચેતનાના નિર્માણમાં લોકકળાની ભૂમિકા અને વાઈસ પ્રિન્સિપાલ ડો.એસ.બાલાસુબ્રમણ્યમે ભારતની વિવિધરૂપી સાંસ્કૃતિક વિરાસતોના અનોખો પણ તેના સામર્થ્ય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન દમણની સરકારી કોલેજના સાંસ્કૃતિક અને અમૃત મહોત્સવ સમિતિ તથા સમાજશાષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન લોક કલાકાર શ્રી રાજકુમાર પાંડે અને શ્રી વિકાસ પાંડેએ નશામુક્તિ વિષય ઉપર કઠપુતળીનું પ્રદર્શન કરી દરેકની વાહવાહી મેળવી હતી.
કાર્યક્રમનું સંચાલન ડો. પોખરાજ જાંગીડ અને આભારવિધિ સુશ્રી હેમાંગીની ચૌધરીએ આટોપી હતી.