January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા તાલુકાના રાહોર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાહોર ગામના વિકાસ માટે બેઠક યોજાવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીને રાહોર ગામના વિકાસ માટે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, જિ. પં. વલસાડના સભ્‍ય શ્રીમતી મીનાક્ષીબેન ગાંગોડા, તાલુકા પંચાયત સદસ્‍યશ્રી ગોપાળભાઈ ગાયકવાડ તેમજ ગામના સરપંચ શ્રીમતી કલ્‍પનાબેન સાનકરાની રજૂઆતો અને સમસ્‍યાઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ આ ગામમાં ગામના લોકો માટે તેમની પાયાની મૂળભૂત જરૂરિયાતો પાણી, વીજળી અને શિક્ષણની હાલની સ્‍થિતિને ઘ્‍યાને લઇ બેઠકમાં જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ રાહોર ગામનો સાક્ષરતા દર 50 ટકા છે તેમાં પુરૂષોનો સાક્ષરતા દર 59.20 ટકા અનેસ્ત્રીઓના સાક્ષરતા દર 40.61 ટકા જે ઓછો છે તેને વધારવા, ગામમાં ધો. 1 થી 8 સુધીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે હાલમાં જે 3 રૂમો છે તેને વધારવા માટે જિલ્‍લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓને જરૂરી વ્‍યવસ્‍થા કરવા માટેસૂચના આપી હતી. આજ રીતે ગામમાં બી. પી. એલ. કુટુંબોની વિગતો જાણી તેમને રાજય સરકારની બી. પી. એલ. વર્ગના લોકોને મળતી યોજનાઓ લાભો તેમને પહોંચાડવા માટે જરૂરી આયોજન કપરાડા તાલુકા વિકાસ અધિકારીને કરવા માટે જણાવ્‍યું હતું. કલેકટરશ્રીએ રાહોરની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને આંગણવાડીનું મકાન જર્જરિત હોઇ આ મકાનના રીનોવેશન માટે, પાણીની સુવિધા, રોડ અને શૌચાલય નથી તે માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે આઇ. સી. ડી. એસ. વિભાગને સૂચના આપી હતી. ગામના લોકો માટે ચેકડેમની સુવિધા માટે સિંચાઇ વિભાગને ટ્રાયબલની ગ્રાન્‍ટમાંથી જરૂરી દરખાસ્‍ત કરવા માટે સૂચન કર્યુ હતું.
વાસ્‍મો દ્વારા અસ્‍ટોલ પાણી પુરવઠા યોજના દ્વારા ગામના લોકોને જરૂરી પાણી પહોંચાડવા માટેનું ટેસ્‍ટીંગ ચાલી રહ્યું છે આ ટેસ્‍ટીંગની કામગીરી પૂર્ણ થાય બાદ ગામના લોકોને પીવાનું પાણી સરકારશ્રીની ‘નલ સે જલ’ યોજના મારફત પૂરૂ પાડવામાં આવશે તેની પણ સમીક્ષા કરી હતી. બોરપાડા અને ટોકરપાડાના ગ્રામ્‍યજનોએ આ તબક્કે જણાવ્‍યું હતું કે, જયારે આ ગામના લોકો બિમાર પડે તો તેમને સુથારપાડાના સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે જવું પડતું હોવાથી તેમને માની ખાતે સબ સેન્‍ટર શરૂ કરવા માટે જરૂરી રજૂઆત કરી હતી અને શક્‍ય હોય તો માનીગામ ખાતે 108 ની સુવિધા કાયમ માટે મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા માટે જણાવતા આ બાબતે કલેકટરશ્રીએ યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા માટે આરોગ્‍ય વિભાગને જણાવ્‍યું હતું. આજ પ્રમાણે ટોકરપાડા ખાતે ખનકી આવેલ છે જ્‍યાં ગામના લોકોને અવરજવર માટે ચોમાસામાં તકલીફ પડતી હોય ત્‍યાં અવરજવર માટે કોઝવે બનાવવા માટે તેમજ આ ગામના લોકોને દૈનિક અવર જવર માટે બસનો રૂટ છે તે તેમના ટોકરપાડા ન જતી હોઇ, ત્‍યાં સુધી બસ લંબાવવા માટે રજૂઆત કરી હતી. જેનો યોગ્‍ય ઉકેલ માટે એસ. ટી. વિભાગને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્‍યું હતું. આજ પ્રમાણે વનવિભાગ દ્વારા તેમને આંબાકલમ અને કાજુના બિયારણ આપવામાં આવે છે તેની વિગતો જાણી હતી. ગામના લોકોને મનરેગા હેઠળ રોજગારી આપવા માટે જિલ્‍લા ગ્રામવિકાસ એજન્‍સીને જણાવ્‍યું હતું. ગામના પશુપાલકો માટે પશુઓના કેમ્‍પો કરવામાં આવે તે બાબતે પશુપાલન ખાતાને જણાવ્‍યું હતું. ખેતીવાડી વિભાગે ટ્રાયબલની ગ્રાન્‍ટમાંથી 46 તાડપત્રી, ભાત ઉણપવાના 6 પંખા તેમજ ચોમાસામાં ડાંગર અને નાગલીનું બિયારણ આપવામાં આવે છે તેમ જણાવ્‍યું હતું. ખેતીવાડી વિભાગને તેમના વિભાગની યોજનાઓનો લાભ આપવા અને બાગાયત વિભાગને પણ તેમની યોજનાઓનો લાભ ગામના લોકોને મળી રહે તે જોવા માટે અનુરોધકર્યો હતો.
તાલુકા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને ગામમાં જ્‍યાં રસ્‍તાની સુવિધાની જરૂર હોય ત્‍યાં રસ્‍તાની સુવિધા પુરી પાડવા માટે જણાવ્‍યું હતું. ગામમાં વીજળીકરણ થયેલ છે પણ ખેતી માટેના જેમના વીજજોડાણ બાકી છે તેવા ખેડૂતોને જરૂરી વીજજોડાણો આપવા માટે કાર્યવાહી કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. કલેક્‍ટરશ્રીએ આ તમામ અધિકારીઓને તેમના વિભાગ હેઠળ થયેલ કામગીરીનો રિપોર્ટ આગામી જિલ્‍લા સંકલન બેઠકમાં રજૂ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયા, કપરાડા તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડ, કપરાડા મામલતદાર એ. પી. રાણા, કપરાડા તાલુકાના શિક્ષણ, આઇ. સી. ડી. એસ., ખેતીવાડી, પાણી પુરવઠા, વાસ્‍મો, બાગાયત, વન વિભાગ, જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી તેમજ તલાટી કમ મંત્રી શિંદા, કપરાડા તાલુકાના સંબધિત વિભાગના અધિકારીઓ તેમજ રાહોર અને પીપરોટી ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment