દમણવાડા ગ્રા.પં. વિસ્તારના કુપોષિત બાળકોની ઓળખ કરી તેની ખાસ તકેદારી લેવા અનુરોધ કરતા સરપંચ મુકેશ ગોસાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01
સંઘપ્રદેશ પ્રશાસનના બાળ વિકાસ વિભાગ દ્વારા મોટી દમણની દમણવાડા ગ્રામ પંચાયતની આંગણવાડી(નંદઘર)માં ‘પોષણ પખવાડા’ અંતર્ગત આજે વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીમાં રજીસ્ટર થયેલ લાભાર્થી બાળકોની માતાઓએ ભાગ લીધો હતો અને વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. જે પૈકી ત્રણ માતાઓને પુરસ્કૃત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવા બદલ બાળ વિકાસ વિભાગ અને આંગણવાડીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં જો કોઈ કુપોષિત બાળક હોય તો તેની ખાસ તકેદારી લેવાઆગ્રહ કર્યો હતો અને પંચાયત વિસ્તારમાંથી કુપોષણની સમસ્યા નાબૂદ થાય તે દિશામાં કાર્ય કરવા તમામ માતાઓને આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, બાળકોને વિવિધ વિટામિન્સ, પ્રોટીન્સ વગેરે જરૂરી માત્રામાં મળી રહે તેવો આહાર આપવા તાકિદ કરી હતી, અને આંગણવાડી દ્વારા લેવાતી કાળજીની ખાસ પ્રશંસા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતી શિવાની પટેલ અને આંગણવાડી સંચાલક શ્રીમતી મધુબેન બારીએ કર્યું હતું. આ પ્રસંગે દમણવાડા પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના સહિત લાભાર્થી બાળકોની માતાઓ ઉપસ્થિત રહી હતી.