(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.03
સરીગામ પંચાયત હદમાં નિર્માણ થયેલ ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે લાંબા સમયથી રસ્તાની બાબતે ચાલતો વિવાદ ફરી નિર્ણય માટે મામલતદાર કચેરીમાં પહોંચ્યો છે. ભીલાડ લઘુ ઉદ્યોગના પાછળના ભાગે મુલચંદ લખમશી નાગડાની સર્વે નંબર 437/બની જમીન આવેલી છે. આ જમીન ખરીદના પ્રારંભ કાળથી વિવાદનું સર્જન થયેલું છે. જેમાં રસ્તા બાબતે ચાલતા વિવાદમાં ઉમરગામ મામલતદારે 2008ની સાલમાં રસ્તો ખુલ્લો કરી આપવા હુકમ કરેલાનું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે પણ 2009ની સાલમાં મામલતદારના હુકમને યથાવત રાખવા ઓર્ડર કરેલ હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
હાલમાં આ જમીન ઉપર અવર-જવર બંધ કરવા માટે પાકી દિવાલનું બાંધકામ કરતા ફરિયાદીએ ન્યાય માટે ઉમરગામ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે. હવે આ બાબતે આવતીકાલે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિ વચ્ચે રજૂઆત સાંભળવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.