(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03
એસ.ટી.બસ ડેપોમાં પાણીનું પરબ નથી મુસાફરોને બેસવાની યોગ્ય જગ્યા નથી. એસ.ટી. બસનાં પ્લેટફોર્મ પર જીવનાં જોખમે ઊભા રહી મુસાફરી કરી રહ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારનાં માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વલસાડ એસ.ટી. ડેપોનું આધુનિક મકાન માટે વર્ષ-2017 માં રૂા.4, 45, 39, 346.93 રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી હતી. જેનું કામ મે.સાવલિયા એમ, સુરતની સોંપવામાં આવ્યું હતું મે.સાવલિયા એમ એજન્સી દ્વારા તા.15-05-2017નાં રોજ કામ શરૂઆત કર્યું હતું.
વલસાડ એસ.ટી ડેપોનાં વિભાગીય બાંધકામ ઈજનેર અને મે.સાવલિયા એમ એજન્સીનાં સંચાલકોની બેદરકારીથી છેલ્લા છ વર્ષથી મંદગતિએ કામ ચાલી રહ્યું છે. વલસાડ ડેપોમાં રોજબરોજ હજ્જારો મુસાફરો આવે છે. ડેપોમાં હાલ કોઈપણ પ્રકારની સુવિધા જ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ડેપોનું બિલ્ડીંગ હાલ તૈયાર કર્યું છે. બાંકડા ગોઠવવામાં આવ્યાં છે, દુકાનો અને ઓફિસો તૈયાર છે, વલસાડ વિભાગીય એસ.ટી. વિભાગ હજુ મુસાફરો માટે ડેપો ખુલ્લો મુકવામાં આવેલ નથી. જેનાં કારણે મુસાફરો એક નાના શેડમાં કન્ટ્રોલરનીઓફિસની બાજુમાં બે-ત્રણ મીટરની જગ્યામાં સાત બાંકડામાં મુસાફરો બેસે છે.
95 ટકા મુસાફરોએ ફરજિયાત એસ.ટી બસો માટે બનાવેલ પ્લેટફોર્મ પર જીવનાં જોખમે ઊભું રહેવું પડે છે. પાણીનાં પરબ નહી હોવાથી મુસાફરોએ પાણી વેચાતું લેવા માટે રૂપિયા ખર્ચ કરવો પડે જે શૌચાલય છે તે જુનું – જર્જરિત હોવાં છતાં મજબુરીનાં કારણે તેનો ઊપયોગ કરવો પડે છે. કેટલાક મુસાફરો ખુલ્લામાં શૌચ કરવાં માટે જવું પડે છે. આમ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવાં છતાં વલસાડ એસ.ટી ડેપો પર આવતાં મુસાફરોને ડેપોની સુવિધા મળી શકી નથી અને હાલ મંથરગતિએ કામ ચાલી રહ્યું છે જેના જવાબદાર કોણ?
વલસાડ ડેપોની સમસ્યા બાબતે જિલ્લાનાં મંત્રીઓ, કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ઊપરીઅધિકારી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી મુસાફરોની માંગ છે.
વલસાડ ઈન્ચાર્જ ડેપો મેનેજર અંજનાબેન ગામિતએ જણાવ્યું હતું કે, મેં હજુ અઠવાડિયા પહેલાં જ ચાર્જ લીધો છે, ક્યારે ડેપોનું બિલ્ડીંગ સોંપવામાં આવશે તે બાબતે મને જાણ નથી.