-
છેલ્લા સાડા પાંચ વર્ષમાં પ્રશાસને પ્રદેશમાં શિક્ષણ અને સંસ્કારના ઘડતર માટે ઉઠાવેલી જહેમતનું હવે મળી રહેલું પરિણામ
-
પ્રદેશના લોકોની આશા અને આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તન : ભાવિ પેઢી માટે થયેલું શિક્ષણ અને સંસ્કારનું સિંચન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને છેલ્લા સાડા પાંચ વર્ષમાં શિક્ષણ અને સંસ્કારના ઘડતર માટે ઉઠાવેલી જહેમત કાબિલે તારીફ છે. આ પ્રકારનો પરિશ્રમ ભાગ્યે જ દેશના કોઈ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા કરાયો હશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસને શિક્ષણ અને સંસ્કાર ઘડતરનો પાયો આંગણવાડીથી નાંખવાની કરેલી શરૂઆત ઉચ્ચ શિક્ષણ અને અન્ય વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમોના પ્રારંભ સુધી પહોંચી છે. આંગણવાડીને નંદઘરમાં રૂપાંતરીત કરી અહી આવતા નાનાભૂલકાં અને માતાઓને ખુશનુમા વાતાવરણ મળી રહે તેની તકેદારી રાખવામાં આવી છે. મોટે ભાગના નંદઘરોનું નિર્માણ સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશના ઉદ્યોગો દ્વારા સીએસઆર મારફત કરાવ્યું છે. જેના કારણે પ્રદેશની તિજોરી ઉપર પણ ભારણ પડયું નથી.
નંદઘરના કાયાકલ્પ બાદ પ્રશાસને પ્રદેશની શાળા-મહાશાળાઓમાં સુવિધાયુક્ત વર્ગખંડોના નિર્માણને પણ અગ્રતા આપી છે. પ્રદેશમાં અદ્યતન શાળાઓના સ્માર્ટ ક્લાસ સાથેના સંકુલો ઉભા થયા છે. પ્રશાસનનો અભિગમ હંમેશા શિક્ષણ અને વિદ્યાર્થીલક્ષી રહ્યો છે. જેના કારણે પ્રદેશમાં પહેલી વખત છેવાડેના લોકોમાં પણ શિક્ષણની ભૂખ ઉઘડી છે. જેનો શ્રેય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રદેશ પ્રત્યે અમી દૃષ્ટિ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્ટિ તથા આયોજન શક્તિના ફાળે જાય છે.
પ્રદેશના લોકોમાં ઉભા થયેલા શૈક્ષણિક વાતાવરણથી શોર્ટકટના રસ્તે કમાણી કરનારાઓમાં પણ પરિવર્તન દેખાવા લાગ્યું છે. ઘણા દારૂની હેરાફેરી કરનારાઓ, ભંગારના કારોબારીઓ, હપ્તાખોરો વગેરે પણ પ્રશાસનના બદલાયેલા રૂખથી પોતાના સંતાનોને સારૂ શિક્ષણ મળે તે માટે ચિંતિત બન્યા છે. જેના કારણે પ્રદેશમાં આવનારી પેઢી શિક્ષિત અને સંસ્કારી બનશે એવો માહોલ ઉભો થયો છે.
સંઘપ્રદેશ પ્રશાસનેઉભા કરેલા ભયમુક્ત વાતાવરણના કારણે સામાન્ય લોકોને પણ પોતાના જીવનધોરણ માટે હળવાશનો અનુભવ થયો છે. ક્યાંક ક્યાંક હજુ પણ ભાઈગીરી હોવાનો અનુભવ કેટલાક લોકો કરી રહ્યા છે. પરંતુ પ્રશાસનના કડક અભિગમથી ભાઈગીરી પ્રદેશમાંથી નેસ્તનાબુદ થશે એવો વિશ્વાસ સામાન્ય જનતામાં પણ પેદા થયો છે.
પ્રદેશમાં શિક્ષણ અને સંસ્કારની સાથે પેદા થયેલા ભયમુક્ત વાતાવરણના કારણે નવી નેતૃત્વ શક્તિનો પરિચય પણ પ્રદેશને થઈ રહ્યો છે. જેનો સીધો લાભ આવતા દિવસોમાં પ્રદેશના વ્યવસ્થા તંત્રને થશે જેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. કારણ કે હવે સંઘપ્રદેશ બદલાય રહ્યું છે અને પ્રદેશના લોકોની આશા, આકાંક્ષામાં પણ પરિવર્તન આવ્યું છે. હવે, રોડ, લાઈટ અને પાણી સુધીની મર્યાદિત વિચારધારાનો અંત આવ્યો છે અને વિકાસની નવી વ્યાખ્યાની પણ સમજ આવી છે. આ પરિવર્તન માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઋણી રહેશે. કારણ કે તેમણે પ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની કરેલી શોધના કારણે આજે પ્રદેશ દરેક સ્તરે ઐતિહાસિક મુકામ ઉપર પહોંચ્યો છે.
સોમવારનું સત્ય
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અદ્યતન રોડ બની જશે, વિવિધ ઈમારતોનું નિર્માણ પૂર્ણથશે, વિવિધ પ્રોજેક્ટોનું કાર્ય પૂર્ણ થશે તો હવે પછી પ્રદેશના વિકાસ માટે બાકી શું રહેશે? કારણ કે પ્રદેશમાં બનનારા રોડની આવરદા લગભગ દસ વર્ષ તો રહેશે જ, નાનકડા પ્રદેશની તમામ જરૂરીયાતો સંતોષાય તે પ્રકારનું આયોજન થઈ ચૂકેલું છે ત્યારે હવે વિકાસ માટે બાકી શું રહેશે તે ચિંતાનો વિષય આવનારા પ્રશાસન અને પ્રજાના પ્રતિનિધિઓ માટે બને તો નવાઈ પામવા જેવું નથી.