-
દાનહમાં 199ર-93થી 2016ના વર્ષ સુધી ભૂમિહીન આદિવાસીઓને ખેતી કરવા અપાયેલા જમીનના પ્લોટોને રાજકીય નેતાઓ, દલાલો, લેન્ડ માફિયા અને ઔદ્યોગિક માલિકોની મીલીભગતમાં સોનાના ટૂકડા જેવી જમીન પાણીના ભાવે પડાવી લઈ આદિવાસીઓના બેંક ખાતા સાથે પણ કરેલી છેતરપીંડીની તળીયા ઝાટક તપાસ કરાવવા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયાનો પ્રસ્તાવ
-
દાદરા નગર હવેલીને બંધારણની પાંચમી અનુસૂચીમાં દાખલ કરી આદિવાસી સમુદાયના અધિકારને સુરક્ષિત કરવા પણ પ્રશાસકશ્રી સમક્ષ કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી ટેરેટોરીયલ કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી દાદરા નગર હવેલીના વિસ્તારને બંધારણની પાંચમી અનુસૂચીમાં નોટીફાઈડ કરવા પ્રશાસન વતી ભારતના રાષ્ટ્રપતિ અને ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા સંબંધિત વિભાગોને દરખાસ્ત મોકલવા રજૂઆત કરી હતી. તેમણેતાત્કાલિક પ્રદેશમાં આદિવાસી સલાહકાર સમિતિની રચના માટે પણ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
દાનહ કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ વર્ષ 199ર-93થી વર્ષ 2016 સુધી સેંકડો ભૂમિહીન આદિવાસી સમુદાયને આપવામાં આવેલ પ્લોટનું કેટલાક રાજકીય નેતાઓ, દલાલો, લેન્ડ માફિયા અને ઔદ્યોગિક માલિકો દ્વારા પાણીના ભાવે કરાયેલા વેચાણ તથા તેમની જમીનના પૈસા આપવા પણ કરાયેલી ગેરરીતિના સંદર્ભમાં જ્યુડિશીયલ અથવા સીબીઆઈ તપાસ શરૂ કરાવવા પણ માંગણી કરી હતી.
શ્રી પ્રભુભાઈ ટોકિયાએ હરિયાણા સરકારની તર્જ ઉપર પ્રાઈવેટ સેક્ટરમાં 75 ટકા નોકરીઓ પ્રદેશના આદિવાસી અને સ્થાનિકો માટે અનામત રાખવા પણ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે દાનહમાં પરપ્રાંતિયો દ્વારા રપ-30 વર્ષ પહેલા એકાદ-બે ગુંઠા લીધેલ જમીનના 4×6ના વર્ષોથી પડતર કેસનું તાત્કાલિક નિરાકરણ લાવવા પણ પોતાની રજૂઆત કરી હતી.
દાનહ કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના આદિવાસી અને સ્થાનિક લોકોના સંરક્ષણ અને અધિકારને સુરક્ષિત કરવા માટે અન્ય રાજ્યથી નોકરી, વ્યવસાય માટે આવતા પ્રવાસી ભારતીય સમાજને નિયંત્રિત રાખવા દેશના નોર્થ ઈસ્ટના ચાર રાજ્યોની તર્જ ઉપર ઈનર લાઈન પરમીટ અથવા આંતરરાજ્ય પ્રવાસી મજદુર અધિનિયમ(1979)નેલાગુ કરવા પણ પોતાની રજૂઆત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાની રજૂઆતને ધ્યાનથી સાંભળી તેમણે બહુમતી આદિવાસી સમુદાયના કલ્યાણ અને તેમના અધિકારના રક્ષણ માટે યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન પણ આપ્યું હતું.