પ્રદેશમાં બેંકો દ્વારા જિલ્લા પ્રશાસન અને વિભાગોના સમન્વયથી 24મી એપ્રિલથી 1લી મે સુધી ‘કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી’ અભિયાન અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડના સંભવિત લાભાર્થીઓને શોધવા શરૂ થનારું અભિયાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.22
આજે દમણ અને સેલવાસના કલેક્ટરાલયમાં બંને જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલીવિશેષ સલાહકાર સમિતિમાં અગામી તા.24મી એપ્રિલથી દરેક ગ્રામ પંચાયતોમાં આયોજીત થનાર વિશેષ ગ્રામ પંચાયતોમાં કિસાન ક્રેડિટ કાર્ડ (કે.સી.સી.) અંગે ખેડૂતો પાસે અરજીઓ કરાવવાનું અભિયાન શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.
દમણ ખાતે કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવ અને સેલવાસમાં કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના અધ્યક્ષ સ્થાને મળેલી વિશેષ જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા તા.6 ફેબ્રુઆરી, ર0ર0 થી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત દરેક પી.એમ.કિસાન લાભાર્થીઓને આવરી લેવા માટે કિસાન ક્રેડિટ કાર્ડનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં ભારત સરકારે દરેક ખેડૂતોને સરકારની ચાલી રહેલી આ યોજનાનો લાભ આપવાના ઉદ્દેશથી ‘કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી’ નામનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત કે.સી.સી. સહિત અન્ય યોજનાઓનો પણ લાભ આપવામા આવશે. બેંકો દ્વારા જિલ્લા પ્રશાસન અને વિભાગોના સમન્વયથી 24 એપ્રિલથી 1મે સુધી આ અભિયાન ચલાવવામા આવશે.
જેનો ઉદેશ્ય સંભવિત કેસીસી લાભાર્થીઓને શોધવા અને બેન્ક પ્રતિનિધિઓ, બ્રાન્ચોના માધ્યમથી કેસીસીની મંજૂરી આપવાનો છે. અભિયાન દરમ્યાન કેસીસીના અંતર્ગત દરેક બચેલા પીએમ કિસાન લાભાર્થીઓને સામેલકરવાનો પ્રયાસ કરવામા આવશે.
દમણ જિલ્લામાં 2691 પી.એમ.કિસાન લાભાર્થીઓ છે.જેને લાગુ પડતા વિભાગોને બેંકો દ્વારા નક્કી કરેલા સમયમાં કે.સી.સી.ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દમણ ખાતેની બેઠકમાં લીડ બેંક એસ.બી.આઈ.દમણના મેનેજર શ્રી સુરેન્દ્ર કુમાર, દરેક બેંકોના મેનેજરો અને સરકારી વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેલવાસ ખાતે જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ ઉપરાંત આર.ડી.સી. સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયતના સી.ઓ. શ્રી અપૂર્વ શર્મા, ખાનવેલના આર.ડી.સી. ડો. સુનભ સિંહ, ડીડીએમ નાબાર્ડ શ્રી ગૌરવકુમાર, શ્રી સાગર મેશ્રામ સહિત બેંકર્સો અને પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.