શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્પિટલમાં દાનહના ખાનગી દવા વિક્રેતાઓ સાથેની બેઠકમાં દર્દીઓને બ્રાન્ડેડ દવામાં ડિસ્કાઉન્ટ આપવા અને જેનરિક મેડિસિનનો પ્રસાર કરવા ડો. વી.કે.દાસે કરેલી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દર્દીઓને સારી ગુણવત્તાવાળી દવાઓ મળે એવા ઉમદા હેતુથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સેલવાસમાં આવેલ દાનહના તમામ ખાનગી દવા વિક્રેતાઓની એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકને આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે સંબોધિત કરી મુખ્ય ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે, લોકો સુધી સારી ગુણવત્તાવાળી દવાઓ(જેનરિક)ને યોગ્ય અને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે.
આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે તમામ દવા વિક્રેતાઓને જેનરિક મેડિસિન અને તેના મહત્ત્વને સમજાવતા નિર્દેશ આપ્યો હતો કે, પોતાના દુકાનમાં જેનરિક મેડિસિનના વેચાણને પ્રોત્સાહન આપે અને તેમની દવાની દુકાનો આગળ ‘અહીં જેનરિક દવાઓ ઉપલબ્ધ છે’ના હોર્ડિંગ બેનર લગાવવામાં આવે જેથી લોકો જેનરિક દવાઓ ખરીદવા માટે જાગૃત થઈ શકે. તેમણે દવાઓના એમ.આર.પી. રેટ ઉપર યોગ્ય ડિસ્કાઉન્ટ આપવા માટે પણ વિક્રેતાઓને અનુરોધ કર્યો હતો અને પ્રદેશના જેલોકો મોંઘી દવા ખરીદી શકવા સમર્થ નહીં હોય તેમને વધુમાં વધુ મદદ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં આવેલ તમામ દવા વિક્રેતાઓના માલિકોને તેમના સ્ટોર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને દવાના વેચાણના ડિજિટલ રેકોર્ડ રાખવા માટે પણ આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે નિર્દેશ આપ્યો હતો. અંતમાં દરેક દવા વિક્રેતાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ જેનરિક મેડિસિનને પ્રોત્સાહન આપે અને જરૂરિયાતમંદ લોકો સુધી સારી અને ઉત્તમ સુવિધા પહોંચાડવા માટે આરોગ્ય વિભાગને મદદરૂપ બને.