(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ, ઘોટણ, કરચોંડ, વાડી અને વાવર ખાતે તા.8મી ઓક્ટોબરના રોજ પાણી પુરવઠા અને જળ સંપત્તિ, નર્મદા, કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે રૂ.81 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ડાંગ અને વલસાડના સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી.મંત્રીશ્રીએ કપરાડા તાલુકામાં રૂ.81 કરોડના રસ્તાઓ, બ્રીજ, હેન્ડપંપ, પેવરબ્લોક, નાળાં, કુવા, ચેકડેમ કમ કોઝવે, પૂર સંરક્ષણ દીવાલ, કમ્પાઉન્ડ વોલ અને વન કુટિર એમ કુલ 198 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં વારોલી તલાટમાં રૂ.15.44 કરોડના 37, ઘોટણમાં રૂ.14.58 કરોડના 46, કરચોંડમાં રૂ.7.06 કરોડના 42, વાડીમાં રૂ.19.78 કરોડના 40, અને વાવરમાં રૂ.24.19 કરોડના 33 કામોનો સમાવેશ થાય છે.