-
માહ્યાવંશી સમાજના પનોતા પુત્ર કેપ્ટન અમૃત માણેકને આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ, મહારાજા હરી સિંઘ ડોગરા પુરસ્કાર અને ઓસ્ટ્રેલિયાની સંત મધર ટેરેસા યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ પીએચડીની પદવીથી સન્માનિત કરાયા
-
મુંબઈ હવાઈ મથક નજીક આવેલ ફાઈવ સ્ટાર હોટલ સહારા ખાતે યોજાયેલા ભવ્ય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની રહેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29
માહ્યાવંશી વિકાસ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ટ્રસ્ટી અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી કેપ્ટન અમૃતલાલ ડી.માણેકને મુંબઈ હવાઈ મથક નજીક આવેલ ફાઈવ સ્ટાર હોટલ સહારા ખાતે નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ,જમ્મુ અને કાશ્મિરના સ્વ. રાજા મહારાજા હરી સિંઘ ડોગરા પારિતોષિક અને ઓસ્ટ્રેલિયાની સંત મધર ટેરેસાની યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ પીએચડીની પદવીથી સન્માનિત કરાતા સમગ્ર સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ જવા પામી હતી.
હોટલ સહારા ખાતે આયોજીત ઈનામ વિતરણ અને સન્માન સમારંભમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ધરાવતા 500 જેટલા રાજકીયસામાજિક, ઉદ્યોગપતિ તેમજ ફિલ્મ તથા ટીવી જગતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ સમારંભમાં કેપ્ટન અમૃત માણેકને પારિતોષિક એનાયતના સમયે સભાખંડમાં માહ્યાવંશી સમાજનું નામ ગુંજતા હવે માહ્યવંશી સમાજને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એક નવી ઓળખ મળી હોવાની પુષ્ટી થઈ હતી.
આ પ્રસંગે યુનાઈટેડ આરબ અમિરાતના રૂરલ અમમ અલ ક્વાઈન હિઝ હાઈનેઝ શેખ મજીદ બિન રસીદ અલમુલ્લા, રાજ્યસભાના સાંસદ શ્રી છત્રપતિ સંભાજી રાજે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બંધુ અને બિઝનેસ મેન શ્રી પ્રહલાદભાઈ મોદી, સુપ્રસિદ્ધ લોકપ્રિય ગાયિકા અનુરાધા પોડવાલ, ડો.રૂપલ મહેતા, મિસિસ ઈન્ડિયા 2018, મિસિસ ઈન્ડિયા યુનિવર્સલ-ર019, અભિનેત્રી અમિષા પટેલ, સીબીઆઈના નિવૃત્ત ડિએસપી શ્રી જયશ્રી રાવ, દુબઈના ઉદ્યોગપતિ ડો.અબ્દુલ્લા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં માણેકપોરના માહ્યાવંશી દિકરા કેપ્ટન અમૃત માણેકને સન્માનિત કરાયા હતા. ત્યારે વિશ્વ વંદનીય ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબ સમાજને શિક્ષણને પોતાનું હથિયાર બનાવવા આપેલી શિખામણ સાર્થક થતાં નજરે પડી હતી.