(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીની દીવાલની નજીક એક અજાણ્યા યુવાનની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી. જેની તપાસ બાદ વ્યક્તિ ડુંગરા-વાપીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે સેલવાસ પોલીસ સ્ટેશનમાં અનિલકુમાર ઉર્ફે પપ્પુ અયોધ્યાપ્રસાદ અવસ્થીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવેલ કે મારો ભાઈ રાજન ઉર્ફે મુકેશની માથાના ભાગે પથ્થર મારી હત્યા કરવામાં આવેલ છે અને એનો મોબાઈલ પણ છીનવી લઈ ગયેલ છે.
પોલીસે આઇપીસી 302, 397 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા જોતા એસ.પી.ના માર્ગદર્શનમાં એક ટીમ બનાવી આરોપીને પકડવા માટે ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, સાથે ટેકનિકલ ટીમને પણ સક્રિય કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં મૃતકની લાશ જે દિવસે મળેલ એના એક દિવસ પહેલા એક અજાણ્યો વ્યક્તિ જોવા મળ્યો હતો જે વ્યક્તિની તપાસ કરતા આરોપી તરીકે રાજુ પુત્ર ચંદ્રિકા ચોરાસીયા(ઉ.વ.32) રહેવાસી પીરમોરમાં ભગવતી સ્કૂલ ડુંગરા, મૂળ રહેવાસી-બિહાર જેની દાદરાની એક કંપનીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમા રજુ કરતા 9મે સુધી પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા છે.