રૂા. 47,210નો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરી આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા વિભાગે મારેલી મોટી ધાડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાનહ જિલ્લા કલેક્ટર ડો રાકેશ મિન્હાસના માર્ગદર્શન અને આરોગ્ય નિર્દેશક ડો.વી.કે.દાસના નિર્દેશનમાં સેલવાસની 3 ફેશન કપડાની દુકાનો ઉપર પાડવામાં આવેલા દરોડામાં તમાકુ ઉત્પાદનો અને ઈ-સિગારેટ બરામદ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ-દીવ અને દાદરા નગર હવેલી અને સેલવાસ શહેરમાં આજે આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યા હતા.
આજે, દાદરા નગર હવેલીના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય નિર્દેશક ડો.વી.કે.દાસના દિશા-નિર્દેશમાં આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં કેટલીક કપડાની દુકાનો ફેશન કપડા વેચવાની સાથે સાથે તંબાકુ પદાર્થ, પ્રતિબંધિત ઈ-સિગારેટ જેવી ચીજ વસ્તુઓ પણ વેચતા હોવાનો પર્દાફાશ થવા પામ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ બે અલગ અલગ ટીમ બનાવીને એક જસમયે 3 દુકાનોમાં દરોડો પાડયો હતો. જેમાં એ.જે.ફેશન-આમલી, યંગબ્લડ-આમલી અને હિરોઝ-ર-ઝંડા ચોક, મુક્તા હોસ્પિટલની પાસે હિરોઝ-ર નામની દુકાનમાં તપાસ દરમિયાન ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી જેમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ, વિવિધ સ્વાદના તમાકુ, વેપ સ્મોક મશીનો મળી આવ્યા હતા જેને અધિકારીઓએ જપ્ત કરી લીધા છે.
દાનહ અને દમણ-દીવના આરોગ્ય નિર્દેશક ડો.વી.કે.દાસે જાણકારી આપતા જણાવ્યું હતું કે દાનહ કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ ઉપર પ્રતિબંધિત તમાકુ અને ઈ-સિગારેટના નામે ડ્રગ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અમે એક ટીમ બનાવીને ઓચિંતા દરોડા પાડ્યા હતા જેમા હિરોઝ-ર નામની એક દુકાન કે જે ઝંડાચોક ખાતે છે જેમાંથી ઘણી બધી પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે અને તેમની અંદાજિત કિંમત રૂા. 47,210/- છે.
આ જપ્ત કરાયેલી વસ્તુઓ અમે માલસામાનમાં રાખી છે અને ફૂડ સેફ્ટી એક્ટની જોગવાઈઓ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય નિર્દેશક ડો.વી.કે. દાસે જણાવ્યું છે કે પ્રદેશમાં પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરવું અને તેનું વેચાણ કરવું એ કાયદાકીય ગુનો છે અને તમામ દુકાનદારોને ચેતવણી આપી છે કે જો કોઈ પણ દુકાનમાં પ્રતિબંધિત વસ્તુઓનુંવેચાણ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બીજાના આરોગ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી. આજના દરોડા અંગે વધુ તપાસ ચાલી રહી છે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થશે તે કલેક્ટર શ્રી દાદરા નગર હવેલીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.