-
આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ કરાયેલો સમાવેશ
-
વરસાદ પડે તે પહેલાં બાકી કામો પૂર્ણ કરવા અને ખેડૂતોને બિયારણ-ખાતર આપવા તાકીદ કરતા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ
-
કપરાડા તાલુકામાં ફાયર સેફટીની સુવિધા પુરી પાડવા પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીનો અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02
વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2022-23ની બેઠક જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અને આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા બાબતના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રીએ ચોમાસુ નજીક હોવાથી બાકી કામો તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. સાથે જિલ્લાના 12 હજાર ખેડૂતોને વરસાદ પડે તે પહેલા બિયારણ અને ખાતર મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. બેઠકમાં રૂપિયા 3613.26 લાખના ખર્ચે કુલ 986 કામો મંજૂર કરાયા હતા.
બેઠકમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલે અધિકારીઓને કહ્યું કે, કપરાડાના અંતરિયાળ ગામોમાંલોકોને પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે જેથી પાણી-પુરવઠાને લગતા જે પણ કામો બાકી છે તે વહેલી તકે પુરા થવા જોઈએ. પ્રાયોજના વહીવટદારશ્રીને કહ્યું કે, વિકાસલક્ષી કામો અંગેની વખતો વખત રિવ્યુ બેઠક કરો. નાની સિંચાઈના 59 કામો માટે રૂા. 703.41 લાખની સૂચિત જોગવાઈ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, જ્યાં પાણી છે ત્યાં ઉદવહન સિંચાઈ યોજના અમલમાં મુકો, જેથી ખેડૂતને ફાયદો થાય અને શિયાળુ પાકનો પણ લાભ લઈ શકે.
વલસાડ જિલ્લામાં પ્રથમવાર શરૂ થનારી પહેલ અંગે મંત્રીશ્રી નરેશભાઈએ કહ્યું કે, ગામમાં 2 થી અઢી હજાર લોકોનું રસોડુ થઈ શકે તે માટે વાસણ આપીશું. અધિકારીઓને ખાસ તાકીદ કરતા કહ્યું કે, જે એનજીઓને કામ સોંપો તે પહેલા તેમને વર્કશોપ કરવા જણાવવું. જેમાં કડીયા, પ્લમ્બર અને ડ્રાઈવર જેવી વિવિધ કામગીરી કરનારાઓને તાલીમ આપવામાં આવે. સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો પુરવઠો ઓછો મળતો હોવાની લોકોની ફરિયાદ હોવાથી જિલ્લામાં 5 લાખના ખર્ચે વજનકાંટા આપવામાં આવશે.
જિલ્લાની 1899 આંગણવાડીમાં પણ બ્રાન્ડેડ વજનકાંટા આપવા જણાવ્યું હતું. જેથી કવોલિટી અને કવોન્ટીટી બંને જળવાઈ રહે. આશ્રમશાળા અને છાત્રાલયોમાં બેડ, ભોજનના સાધનો, બેન્ચીસ,ગરમ પાણી, સોલાર અને શૌચાલય સહિતની માળખાકીય સુવિધા સૌપ્રથમ પુરી પાડવા જણાવ્યું હતું. મધ્યાહન ભોજનના 38 કામ માટે રૂા. 191.72 લાખની સૂચિત જોગવાઈમાં વાસણો અને કિચન કમ શેડ બનાવાશે. જર્જરીત ઓરડાનું રિપેરિંગ કામ અને ચોમાસા પહેલા ઉઘડતી સ્કૂલે શાળામાં બાળકોને તમામ સુવિધાઓ મળી જવી જોઈએ. મંત્રીશ્રીએ સગર્ભા મહિલાઓને ઉચ્ચ ગુણવત્તાવાળી મચ્છરદાની આપવા ઉપર ભાર મુકયો હતો.
પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ કપરાડા તાલુકામાં ફાયર સેફટીની સુવિધા નહીં હોય આગની ઘટના બને ત્યારે વાપી અને ધરમપુરથી ફાયર બ્રિગ્રેડની ટીમ બોલાવવી પડે છે જેથી કપરાડા તાલુકામાં જ ફાયર સેફટીની સુવિધા પુરી પાડવા માટે અનુરોધ કર્યો હતો. આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ સમાવેશ કરાયો છે.
વલસાડ જિલ્લામાં કુલ રૂા. 3613.26 લાખના ખર્ચે વિકાસના કુલ 986 કામો થશે જે પૈકી ધરમપુરમાં રૂા. 658.81 લાખના ખર્ચે 163 કામો, કપરાડામાં રૂા.1345.95 લાખના ખર્ચે 203 કામો, પારડી તાલુકામાં રૂા. 391.02 લાખના ખર્ચે 147 કામો, વાપી તાલુકામાં 214.53 લાખના ખર્ચે 103 કામો, ઉમરગામમાં રૂ. 449.33 લાખના ખર્ચે 121 કામો, અટગામ પોકેટમાં રૂા. 271.15 લાખના ખર્ચે125 કામો અને રોણવેલ પોકેટમાં રૂા. 230.17 લાખના ખર્ચે 124 કામોનો સમાવેશ કરાયો છે.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખો અને તાલુકા વિકાસ અધિકારીઓ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.પી.મયાત્રા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળાના વી.જે.થોરાટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.