દીવમાં કવિ સંજુ વાળાનું સન્માનઃ કવિના સર્જન, જીવન વિશે થઈ રસપ્રદ વાતોઃ બોન એપીટીટ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ તા. 05
દીવમાં સાહિત્ય પ્રેમીઓ માટે એક સરસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના પ્રતિષ્ઠિત કવિ શ્રી સંજુ વાળાનું અભિવાદન બોન એપીટાઇટ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું હતું .
કવિશ્રીએ તાજેતરમાં જ પ્રકાશિત થયેલા પોતાના છ પુસ્તકો શિક્ષણવિદ્ શ્રી માનસિંગભાઈ બાંભણીયાને અર્પણ કર્યા હતા. સાહિત્ય, સંગીતના ભાવક, જાણતલ એવાં શ્રી આર.પી. જોશીએ કવિ શ્રી સંજુ વાળાના કાવ્યકર્મ વિશે વિશદ અને વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી હતી. શ્રી સંજુ વાળાની કવિતાના વિવિધ પ્રદેશમાં એમણે ભાવકોને લટાર મરાવી હતી. શ્રી સંજુ વાળાને મળેલા એવોર્ડ, એમના સર્જન, પુસ્તકો વિશે વાત કરી હતી.
કવિ શ્રી સંજુ વાળાના ગીતોના આસ્વાદના પુસ્તકો છેક શિખરની મજા વિશે પ્રો. ડૉ. દલપત ચાવડાએ વાત કરી હતી. જ્યારે સંજુ વાળાના અભિવાદન ગ્રંથ સહજ જડી સરવાણીના પ્રકાશન અને શ્રી સંજુ વાળાના જીવન વિશે પત્રકાર – લેખક જ્વલંત છાયાએ ચર્ચા કરી હતી.
પ્રતિભાવ આપતાં કવિ શ્રી સંજુ વાળાએ કહ્યું કે કોઈ પણ સર્જક આખરે તો શબ્દ બ્રહ્મની સાધનાકરે છે. કવિ માટે સર્જન જ શબ્દની સાધના છે. માટે આ સન્માન મારું નથી પરંતુ શબ્દનું છે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન પ્રો. ડો. સુનીલ જાદવે કર્યું હતું. શ્રી સંજુ વાળાના જીવન, સર્જન, એમની કવિતાની વિશાળ રેન્જ વિશે ડૉ. જાદવે રસપ્રદ ચર્ચા કરી હતી. એમના વિશિષ્ટ સર્જનના વિસ્તાર વિશે એમણે સંકેતો આપ્યા હતા.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જાણીતા સાહિત્ય રસિક શ્રી ઉકાભાઇ વઘાસિયા, શ્રી રામભાઈ રાઠોડ તથા અન્ય ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.