(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.16
વલસાડ જિલ્લાની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) હેઠળ સહાય મેળવતા તમામ બહેનોને પોતાની હયાતી અંગેની ખરાઈ દર વર્ષે કરાવવાની થાય છે. જે પણ વિધવા બહેનોની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની મોબાઈલ એપ દ્વારા ખરાઈ (ફોટો પડાવવાનો) બાકી હોય અને સહાય ચાલુ થયાથી 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો 15 જુલાઈ 2022 સુધીમાં ખરાઈ કરાવવાની રહેશે, નહીંતર ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની સહાય બંધ થવા પાત્ર રહેશે. આ યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીની હયાતીનું વેરીફીકેશન કરાવવું ફરજીયાત છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની ખરાઈ આંગણવાડી કેન્દ્ર ખાતે (મુખ્ય સેવિકા મારફત), તમામ મામલતદાર કચેરી ખાતે (ગંગા સ્વરૂપા ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત), મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-ર, પ્રથમ માળ, તિથલ રોડ, વલસાડ ખાતે કરાવી શકાશે, આ યોજનાની ખરાઈ માટે બેંક અથવા પોસ્ટની પાસબુકની નકલ, આધારકાર્ડ, પૂનઃલગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જિલ્લામહિલા અને બાળ અધિકારી કે.એ.ગિરાસેએ જણાવ્યું કે, જે ગંગા સ્વરૂપા બહેનો હાલમાં હયાત નથી તેવા બહેનોના કુટુંબીજનો દ્વારા આ અંગેની જાણ પુરાવા સાથે પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે કરવાની રહેશે.