દીવ ન.પા.ની ચૂંટણીમાં તમામ ઉમેદવારોને બિન હરિફ વિજેતા બનાવી સમરસ પાલિકાના નવા ઈતિહાસનું સર્જન કરવા પણ બુલંદ બનેલો લોકજુસ્સો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શિક્ષિત, પ્રમાણિક અને ખમતીધર લોકો આગળ આવે એવી ઈચ્છા આમલોકો દ્વારા વ્યક્ત થઈ રહી છે. પાલિકામાં ચૂંટણી નહીં પરંતુ વિવિધ સમાજના મોભેદારોની પસંદગીથી શાસન ચલાવવા ઉપર જોર આપવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દીવ જેવા ટચૂકડા શહેરનો ‘સ્માર્ટ સીટી’ યોજનામાં કરાયેલા સમાવેશથી વિકાસના નવા નવા દ્વાર ખુલી રહ્યાછે. તાજેતરમાં કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ દીવના વિકાસની મુક્ત મને પ્રશંસા કરી હતી ત્યારે વિકાસની રફતારને ઔર વધુ વિસ્તારવા દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શહેરના શિક્ષિત પ્રતિષ્ઠિત સેવાભાવી અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવા ઉપર જનમત વ્યક્ત થઈ રહ્યો છે.
હાલમાં દીવ નગરપાલિકા ખાતે એક માત્ર ભાજપ જ સક્રિય પક્ષ હોવાથી તેમને ઉમેદવારોની પસંદગીમાં કાળજી રાખવા પણ લોકો દ્વારા આગ્રહ થઈ રહ્યો છે અને ચૂંટણીના સ્થાને દરેક ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવી સમગ્ર નગરપાલિકાને સમરસ બનાવવા ઉપર પણ પાલિકાના બહુમતિ નાગરિકો પોતાનો મત પ્રગટ કરી રહ્યા છે. તેથી દીવ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ એક મંચ ઉપર આવી કોઈના પણ ભ્રામક પ્રચારમાં દોરવાયા વગર પ્રદેશ અને શહેરના હિતને પ્રાથમિકતા આપી પાલિકાને સમરસ બનાવવી જોઈએ એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.