(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.22
ચીખલી તાલુકાના ઘેકટી ગ્રામ પંચાયતના સભ્યોએ ટીડીઓ અને ડીડીઓને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ઘેકટી ગામના વડ ફળીયામાં ડામરના રોડનું કામ થયેલ છે. જેમાં ચાર નંબરની મેટલ નાંખવામાં આવેલનથી. માપદંડ પ્રમાણે થિકનેશ મળતી નથી તથા એકદમ ઓછો ડામર વાપરીને ભ્રષ્ટાચાર આચારીને સરકારી નાણાંનો વ્યય કરેલ છે. અંબા માતાના મંદિરથી ગાયત્રી મંદિર સુધી અને રમેશભાઈના ઘર પાસે આરસીસી રોડમાં નીચે મેટલ નાંખવામાં આવેલ નથી તથા દોઢ ફૂટના અંતરે છ એમએમના પાતળા સળિયા નાખેલ છે. સરકારી નિયમ પ્રમાણે છ ઇંચની લંબાઈએ 10 એમએમના સળિયા નાખવાના હોય છે. કોન્ક્રીટની થિકનેશ 5 થી 6 ઇંચની હોય છે. પરંતુ સદર આરસીસી રોડમાં ફક્ત 2 થી 2.6 ઇંચની થિકનેશ મળે છે. જે તદ્દન નિયમની વિરૂધ્ધ છે અને ભ્રષ્ટાચાર થયેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
આ બાબતમાં તાલુકા પંચાયત કચેરી ચીખલીની બાંધકામ શાખામાં કામ કરતા કર્મચારી મિતેષ ચંદુભાઈ પટેલ પોતે આ ગામના જ વતની છે. જેઓએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સાથે મેળાપીપણું કરીને ભ્રષ્ટાચાર કરેલ છે અને બિલ તો મારે જ પાસ કરવાના છે અને માપવાનું પણ મારે જ છે. ઘેકટી ગામમાં ડામરના કે આરસીસીના જે રોડ બન્યા છે તે મારે જ માપવાના છે અને જોઈને પાસ કરવાના છે. એવું ફળિયાના લોકોને કહે છે. કોઈપણ અધિકારી મારૂં કશું બગાડી શકે તેમ નથી. આમ તેને અધિકારીનો પણ ડર નથી.
જેથી સદર બાબતે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરાવી ખાતાકીય રીતે ભ્રષ્ટાચારની ઝીણવટભરી તપાસ કરીકરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઉપરોક્ત લેખિત રજુઆતમાં તટસ્થ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે કે પછી રાજકીય દબાણમાં ભીનું સંકેલશે તે જોવું રહ્યું.