વર્ષ 1972માં 2 શિક્ષક અને 25 વિદ્યાર્થી સાથે શરૂ થયેલી શાળામાં હાલ 27 શિક્ષક અને 1085 વિદ્યાર્થીઓ છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)વલસાડ, તા.29
વાપીની ઔદ્યોગિક વસાહત કેન્દ્ર શાળાના સ્થાપના દિનની ઉજવણી તા. 23 જૂને વાપી તાલુકા નિવૃત કર્મચારી સેવા મંડળના પ્રમુખ શ્રીહેમંતભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
શાળાના આચાર્યા મીનાબેન આહિરે શાળાની ભૌતિક અને શૈક્ષણિક માહિતીની સાથે શાળાનો વિકાસ, લોક સહયોગ અને શાળાએ મેળવેલી સિધ્ધીની માહિતી આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ હેમંતભાઈ કે જેમણે આ શાળામાં 31 વર્ષ સુધી સેવા આપી હતી અને હાલમાં શાળાની વ્યવસ્થાપન સમિતિના સભ્ય તરીકે પણ છે. તેમણે ઉજવણી પ્રસંગે શાળાનો ઈતિહાસ રજૂ કરતા જણાવ્યું કે, વર્ષ 1972માં 22મી જૂને સી ટાઈપ જીઆઈડીસી વાપીમાં 2 શિક્ષક અને 25 વિદ્યાર્થી સાથે શાળાની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં 27 શિક્ષકો અને 1085 વિદ્યાર્થીઓ છે. શાળાના પ્રથમ આચાર્ય રતુભાઈ દેસાઈ હતા. 1984માં શાળાનું મકાન બંધાયું હતું. હાલ શાળામાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. શાળામાં હોલ, કોમ્પ્યુટર લેબ અને 12 ઓરડાનું નિર્માણ બાયર દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શાળામાં સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસએમસીના સભ્યો, વાલી મિત્રો, સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડિનેટરો હાજર રહ્યા હતા.
Previous post