વલસાડ, તા.29
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટે પાણીની સમસ્યા સૌથી મોટી છે. માત્ર વરસાદ આધારિત જ ખેતી થઈ શકતી હોય છે ત્યારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) અંતર્ગત કપરાડા તાલુકાના ચાંદવેગણ ગામે દોલધા નદી પર ચેકડેમ બનાવ્યો છે. જેમાં અંદાજીત ૮૦૦૦ ઘ. મીટર પાણીનો જથ્થા સંગ્રહ થતા ૫ હેકટર જમીનમાં કુલ ૧૬ જેટલા ખેડુતોને સિંચાઇનાં લાભો મળશે. જેનાં કારણે શિયાળા, ઉનાળામાં પણ ખેડૂતો ખેતી કરી શકશે. જેમાં વર્ષ દરમ્યાન શાકભાજી તેમજ ફળાઉ પાકોનું ઉત્પાદન કરી શકશે. સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા આ ગામનાં ખેડુતોને ખૂબ જ મદદરૂપ થશે અને આજીવિકામાં પણ વધારો થશે. જલ શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં જળ સંચય અને જળ સંરક્ષણના પૂર્ણ થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા નિયુક્ત સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી હતી.
જલશક્તિ મંત્રાલયમાંથી રતિ માધવા રાવ, IOFS, ડેપ્યુટી સેક્રેટરી (સેન્ટ્રલ નોડલ ઓફિસર) અને ડો.કે. રાજારાજન, હાઈડ્રોલોજીસ્ટએ સ્થળ મુલાકાત લઈ જિલ્લાના તમામ તાલુકા ખાતે હાથ ધરાયેલા વિવિધ કામો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પાનવા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભામાં હાજર રહી જળ શકિત અભિયાન અંગે ગ્રામજનોને પણ જાગૃત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારશ્રી દ્વારા જળ શક્તિ અભિયાન- કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત વરસાદી પાણીનાં જળસંગ્રહ, જળસંચય તથા ભુગર્ભ જળ સ્તર ઉંચુ લાવવાનાં વિવિધ કામો હાથ ધરવા સંદર્ભે વલસાડ જિલ્લાના તાલુકાઓમાં દક્ષિણ વન વિભાગ, વલસાડ સિંચાઈ વિભાગ, દમણગંગા નહેર સંશોધન વિભાગ વલસાડ, મનરેગા અને વોટરશેડ ડિપાર્ટમેન્ટ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંચયનાં વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.