- અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં હજારો ભક્તો, શ્રધ્ધાળુઓએ ભગવાનના રથના દર્શન કર્યાઃ ઠેર-ઠેર જય રણછોડનો જયઘોષ
- વલસાડમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કનુભાઈ દેસાઈ, કલ્પતરૂ પાણી મંત્રી જીતુભાઈ ચૌધરી અને જિલ્લા એસ.પી. ડો. રાજદિપ ઝાલાએ રથનું પ્રસ્થાન કરાવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: ભારત વર્ષ અને ગુજરાતની ધરા માટે અષાઢી બીજનો અપરંપાર મહિમા છે. કચ્છી માડુઓનું અષાઢી બીજ નૂતન વર્ષ અને જગન્નાથ ભગવાનની રથયાત્રાનો પાવન દિવસ એટલે અષાઢી બીજ આજે તા.1 જુલાઈને શુક્રવારે અષાઢી બીજના પાવન દિવસે વલસાડ, વાપી અનેપારડીમાં ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રાઓ નિકળી હતી. સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી કૃષ્ણ જયેષ્ઠ બંધુ બલરામ અને બહેન સુભદ્રા સુશોભિત રથમાં સવાર થઈને વાપી, વલસાડ અને પારડીની શેરીઓમાં હજારો ભક્તોના જય રણછોડના જયઘોષ, નાચ, ગાન અને ભક્તોના અદમ્ય ઉત્સાહ વચ્ચે શહેરની શેરીઓમાં પરિક્રમા કરી હતી. અષાઢી વાદલડીના સતત અમી છાંટણા ભાવિકોમાં એ રીતે વરસી રહ્યા હતા કે ભગવાન જગન્નાથનો નેહ વરસી રહ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વલસાડ, વાપી અને પારડીની રથયાત્રાઓ સંપન્ન થઈ હતી.
વલસાડના છીપવાડ પ્રજાપતિવાડમાં આવેલ ભગવાન જગન્નાથના પૌરાણિક મંદિરથી રથયાત્રાનો બપોરે 12 કલાકે પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા કલ્પતરૂ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી અને જિલ્લા પોલીસવડા ડો. રાજદિપસિંહ ઝાલાએ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે 96 હોમગાર્ડ, 1પ7 પોલીસ, પ પી.એસ.આઈ., 3 પી.આઈ., 1 ડીવાયએસપી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નિગરાની રખાઈ રહી હતી. આજ પ્રમાણે વાપીમાં તેમજ પારડીમાં ભગવાન જગન્નાથજીની ધામધૂમ અને ભક્તો બેન્ડવાજા, ગાન અને જયરણછોડ, માખણચોરના જયઘોષ સાથે શહેરની શેરીઓમાં ભગવાનના રથોએ પ્રદક્ષિણા કરી નિજ મંદિરે પરત આવી હતી. વાપી ડુંગરા લેકવેથી ભગવાનની રથયાત્રા નિકળી હતી. ઢોલ, ત્રાસ નગારા સાથે તમામ રથયાત્રાઓમાં ભાવિક વરસાદની પણ પરવા કર્યા વગર ભગવાન જગન્નાથમય બની ગયા હતા.
——–