નવરાત્રીના છેલ્લા બે દિવસનો નવરાત્રી મુડ વરસાદે ખેલૈયાનો બગાડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં તા.3 ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ગયો હતો. અનેક પાર્ટી પ્લોટ સહિત સોસાયટીઓમાં ગરબાના ભવ્ય આયોજનો કરાયા છે. પ્રારંભના દિવસોમાં વરસાદનું કોઈ વિઘ્ન નવરાત્રીમાં નડયું નહોતું પરંતુ નવરાત્રીના ઉતરાર્ધમાં આઠમ અને નવમીના ગરબામાં વરસાદ ખલનાયક બન્યો છે. રાત્રે ગરબાના સમયે જ વરસાદની એન્ટ્રી થાય છે. તેથી આયોજકો અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડે છે. ગુરૂવારે રાત્રે વલસાડમાં આઠમના પવિત્ર નોરતામાં વરસાદ પડયો હતો. મોંઘાભાઈ હોલનો પ્લોટ પાણીમાં તરબોળ થઈ જતા આયોજકોએ પ્લાસ્ટીક પાથરીને ગરબા પુર્ણ કર્યા હતા.
હવામાન ખાતા દ્વારા તા.8 થી 11 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાની આગાહી કરાઈ હતી તે મુજબ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો છે. જેની સીધી આડઅસર નવરાત્રી મહોત્સવ ઉપર પડી હતી. છેલ્લા બે દિવસ નવરાત્રીના માત્ર બાકી રહ્યા હતા ત્યાં જ વરસાદે નવરાત્રીના રંગમાં ભંગ કર્યો હતો. પરંતુ નવરાત્રીના શોખીન અને ગુજરાતની ઓળખ એટલે ગરબા વરસાદની પરવા કર્યા સિવાય ખેલૈયા વરસતા વરસાદમાં પણ ગરબે રમ્યા હતા. કોઈપણ જગ્યાએ વરસાદના કારણે ગરબા બંધ નહોતા રહ્યા. આજે શુક્રવારે નવરાત્રીનો અંતિમ દિવસ છે. ફરી વરસાદ વિઘ્ન ઉભુ ના કરે તેવી ખેલૈયાની આસ રહી છે.