-
દાનહ જિ.પં.ના પ્રમુખ નિશાબેન ભવર સહિત 11 સભ્યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલીચર્ચા-વિચારણાં
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસની આગેકૂચ જાળવી રાખવા અને દાનહના છેવાડે સુધી વિવિધ યોજનાઓ પહોંચાડવા જિલ્લા પંચાયતના સભ્યોએ વ્યક્ત કરેલો એક સૂર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા 11 સભ્યોએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી તેમના દ્વારા થઈ રહેલા વિકાસના કામોની સરાહના કરી હતી.
પ્રશાસકશ્રીની મુલાકાતે ગયેલા દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા 11 જેટલા સભ્યોના જણાવ્યા પ્રમાણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ઐતિહાસિક વિકાસ થયો છે અને તેમના દ્વારા છેવાડેના લોકોને બેઠા કરવા માટે અમલમાં મુકવામાં આવેલ નીતિનો સીધો લાભ મળી રહ્યો છે. તેથી દાદરા નગર હવેલીના કોઈ ગામ કે વ્યક્તિ પણ વંચિત નહીં રહી જાય તે માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી પ્રદેશના સર્વાંગી વિકાસ માટે મનન-મંથન કર્યું હતું.
દાનહ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ મંડળે પ્રશાસકશ્રીને ઘરની નોંધણી, માનદ્ વેતન, રોયલ્ટી, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં ભૂમિહિન માટેજમીન, વિલેજ રોડ કાર્પેટિંગ, ગામડાના રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ, સંકલિત પાણી પુરવઠા યોજના, ખેતીવાડી જેવા કામો ઉપર ચર્ચા કરી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ પણ આપ્યા હતા.
દાનહ જિલ્લા પંચાયતના સભ્યો પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી પણ પ્રગટ કરી હતી.
દાનહ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ મંડળમાં પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિલ્લા પંચાયત સભ્યો સર્વશ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી દિપકભાઈ પટેલ, શ્રીમતી જશોદાબેન પટેલ, શ્રી ગોવિંદ ભુજાડા, શ્રીમતી રેખાબેન પટેલ, શ્રી વિજય ટેમરે, શ્રીમતી મમતા સાવર અને શ્રીમતી વંદના પટેલનો સમાવેશ થતો હતો.
———