-
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મહિલા સશક્તિકરણના પ્રયાસોના પરિણામે ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત સેલવાસ કલેક્ટરાલયમાં જય જલારામ મહિલા મંડળને ઉપહાર ગૃહના સંચાલનની સોંપેલી જવાબદારી
-
જય જલારામ મંડળના 10 મહિલા પરિવારને મળનારી રોજીઃ કલેક્ટરાલયમાં કામકાજ માટે આવતા નાગરિકો અને અધિકારી-કર્મચારીઓને હવે નાસ્તા માટે બહાર જવું નહીં પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના નવનિર્મિત વિશાળ જિલ્લા કલેક્ટરના કાર્યાલયમાં આજથી ‘ઉપહાર ગૃહ(કેન્ટિન)’નો આરંભ થતાં દૂરથી આવતા લોકો અને અધિકારી, કર્મચારીઓને હવે ચા-નાસ્તા માટે બહાર જવું પડશે નહીં અને સંઘપ્રદેશ પ્રશાસને ‘ઉપહાર ગૃહ’ના સંચાલનની જવાબદારી સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલા સંસ્થા જય જલારામ મહિલા મંડળને સુપ્રત કરી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતની એક ઉમદા પહેલ પણ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત જય જલારામ મહિલા મંડળને આજથી સંચાલન માટે ‘ઉપહાર ગૃહ(કેન્ટિન)’ સુપ્રત કરવામાં આવ્યું હતું.
દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરે વિધિવત રીતે કેન્ટિનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેલવાસના આર.ડી.સી. શ્રી મોહિત મિશ્રા અને આર.ડી.સી. શ્રી અમિત કુમાર તથા વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ કેન્ટિનના આરંભથી જય જલારામ મહિલા મંડળના 10 મહિલા પરિવારને રોજગારી મળશે અને તેમની આજીવિકામાં પણ વૃદ્ધિ થશે. કલેક્ટર કાર્યાલયમાં કેન્ટિનનો આરંભ થવાથી પોતાના વિવિધ કામ માટે આવતાં નાગરિકો તથા કાર્યાલયમાં કામ કરતા અધિકારી-કર્મચારીઓને ખુબ મોટી રાહત થશે.