-
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 6 વર્ષથી શરૂ થયેલ વિકાસ અને શિક્ષણના પ્રભાવથી સામાન્ય જનતા પણ પ્રશાસન અને પ્રધાનમંત્રીથી પ્રભાવિત
-
દાનહ અને દમણ-દીવમાં પ્રાદેશિક પક્ષો કંઈ ઝાઝુ ઉકાળી શક્યા નથી અને તેમનું ભવિષ્ય પણ નથી
સમગ્ર દેશમાં પરિવારવાદી રાજનીતિનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં રાજાનો દિકરો રાજો બને અને પ્રધાનનો દિકરો પ્રધાન જ બને એ દિવસો હવે પુરા થયા છે.પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ આ પ્રકારની તમામ પરંપરા ઉપર પૂર્ણવિરામ મુકાયું છે. જેના કારણે જ 2017માં કોઈએ કલ્પના પણ નહીં કરી હતી એવા શ્રી રામ નાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદે
બિરાજવાનું ભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે રીતે જ હમણાં પણ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કે જેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.
દેશની રાજ્ય સરકારોમાં પણ હવે લોકશાહીનું પ્રતિબિંબ પડી રહ્યું છે. જેનું ઉત્તમ ઉદાહરણ મહારાષ્ટ્ર છે. ભૂતકાળમાં એક રીક્ષાચાલક રહેલા શ્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના ભાગ્યવિધાતા બનવાની તક પણ ભાજપ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યક્ષ-પરોક્ષ આશીર્વાદથી જ મળી શકી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ પરિવારવાદી અને વ્યક્તિલક્ષી રાજનીતિને જાકારો મળી ચુક્યો છે. હવે લોકો પણ પોતાનું ભવિષ્ય ક્યાં સુરક્ષિત છે અને ક્યાં વિકાસની તક છે તે સમજતા થયા છે. જેના કારણે જ વ્યક્તિલક્ષી રાજનીતિની સાથે સાથે પરિવારવાદ વાળી રાજનીતિના પણ અંતનો આરંભ શરૂ થયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં શરૂ થયેલ વિકાસ અને શિક્ષણના પ્રભાવથી સામાન્ય જનતા પણ પ્રશાસન અને પ્રધાનમંત્રીથી પ્રભાવિત થઈ શક્યા છે. જેની અસર દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં પણ જોવા મળી રહી છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં એનડીએના ઘટક દળ જનતા દળ (યુ)નું શાસન છે. જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે પોતાના સભ્યોને વિકાસની રાજનીતિને અપનાવવાનો ગુરૂમંત્ર આપેલો છે. જેના કારણે આવતા દિવસોમાં દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત સ્તરના કામકાજમાં ગતિ આવવાની સંપૂર્ણ સંભાવના છે.
મોટાભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રાદેશિક પક્ષો ઝાઝુ ઉકાળી શક્યા નથી. આ પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસ અને વ્યક્તિલક્ષી રાજનીતિની જ બોલબાલા રહી છે. ભૂતકાળમાં દમણ-દીવમાં શ્રી દેવજીભાઈ ટંડેલ અને દાનહમાં સ્વ. મોહનભાઈ ડેલકર અપક્ષ તરીકે ચૂંટણી લડી વિજેતા બની ચુક્યા છે. શ્રી મોહનભાઈ ડેલકર 1989 ઉપરાંત પોતાની સ્થાનિક પાર્ટીનું ગઠન કરી 1999 અને 2004માં પણ વિજેતા બન્યા હતા અને છેલ્લે 2019ની ચૂંટણીમાં પણ અપક્ષ તરીકે વિજેતા બની તેમણે પોતાની લોકપ્રિયતાના દર્શન કરાવ્યા હતા.
હવે સમય અને સંજોગ બંને બદલાયા છે. દાદરા નગર હવેલીમાં પણ હવે મોટા ગજાનો કોઈ નેતા દેખાતો નથી. જેના કારણે જેમની પાસે સંપર્ક સંગઠન અને નિષ્ઠાની તાકાત હોય તેવા તમામ માટે દિલ્હીના દરવાજા પણ ખુલી ચુક્યા છે. પ્રદેશમાં જિલ્લાપંચાયત, નગરપાલિકા અને પંચાયતો રાજનીતિની પ્રયોગશાળા છે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સક્રિયતાથી કામ કરી ભારત સરકારની યોજનાઓ કાર્યાન્વિત કરનારાઓ માટે અને પક્ષ સાથે વફાદારી રાખનારાઓ માટે ભવિષ્યમાં ઉજ્જવળ તકો પડેલી છે. હવે કોઈ વ્યક્તિ કે પરિવાર નહીં પરંતુ પોતાના રાજકીય પક્ષ અને મતદારો પ્રત્યે વફાદાર રહેવાનો સમય પાકી ગયો છે.
સોમવારનું સત્ય
મહારાષ્ટ્રમાં અસલી શિવસેનાના મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ જો મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની શિવસેનાને પક્ષનું પ્રતિક ફાળવી અધિકૃતતા આપે તો દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને પણ એનડીએનો હિસ્સો બનવાની ફરજ પડશે. ત્યારે દાદરા નગર હવેલીનું રાજકીય ચિત્ર કેવું બનશે?