ફરિયાદીને વન વિભાગે કહ્યું કે પાંજરુ તમે લાવો અમારી પાસે સાધનો નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડના તિઘરા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી ખુંખાર દિપડાનો આતંક છવાયેલો છે. રાત્રે ત્રાટકી બકરાઓનો શિકાર કરી રહ્યો છે તેની જાણ વન વિભાગને કરવા છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી તેથી સમગ્ર ગામમાં બયનો માહોલ છવાયેલો રહે છે.
વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળીયામાં રહેતા અંકિતભાઈ આહિરના વાડામાં બે દિવસ પહેલા દિપડો ત્રાટક્યો હતો. બે બકરાનો શિકાર કરેલો તેથી અંકિતભાઈએ વન વિભાગને પાંજરુ મુકવાની ફરિયાદ કરી જાણ કરી હતી. ગતરોજ રાત્રે ફરી બે વાગ્યાના સુમારે દિપડો આવ્યો હતો. સમયસર પરિવાર જાગી જતા ભાગી છુટયો હતો પણ એક બકરાને ઘાયલ કર્યુ હતું તેથી આજે સોમવારે અંકિતભાઈએ વન વિભાગને જાણ કરી હતી. વિભાગે આવી દિપડાના પગલા વગેરેની તપાસ કરી પણ પાંજરાની વ્યવસ્થા કરી નહી અને અંકિતભાઈને જણાવ્યું હતું કે, અમારી પાસે પાંજરુ લાવવાના સાધનો નથી તમે પાંજરુ લઈ આવો. વન વિભાગના જવાબથી સમગ્ર ગામમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.