દેશના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જનજાતિને મળનારી રાષ્ટ્રપતિ બનવાની તક
દાનહ જિલ્લા પંચાયતના સભ્યોને પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્તાવ પસાર કરવા જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે આપેલો નિર્દેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દેશના રાષ્ટ્રપતિ તરીકે એનડીએ દ્વારા શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને દાનહ જનતા દળ(યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે આવકારી છે અને શુભકામના આપી છે.
શ્રી ધર્મેશસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, દેશની સ્વતંત્રતા બાદ પહેલી વખત જનજાતિ સમાજને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ ઉપર એનડીએ દ્વારા પસંદગી કરવામાં આવી છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુનો અનુભવ, તેમની સંવેદનશીલતા અને સેવાની ભાવના તેમનેરાષ્ટ્રપતિ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે.
દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ વિસ્તાર હોવાથી અહીંની તમામ જનતા પણ ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને વધાવે છે.
દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે દાનહ જિ.પં.ના સભ્યોને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્તાવ પસાર કરવા પણ નિર્દેશ આપ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.