વાપીમાં અકસ્માતમાં કર્ણી સેનાના સૈનિક કનકસિંહ જાડેજાનું હાઈવે ઉપરના ખાડાને લીધે કાર પલટી જતા મોત નિપજ્યું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: નેશનલ હાઈવે ઉપર વલસાડથી વાપી વચ્ચે જીવલેણ અનેક ખાડા વરસાદમાં પડી ગયા હોવાથી રોજીંદા અકસ્માત હાઈવેના ખાડા સર્જી રહ્યા છે. તેવો એક અકસ્માત મંગળવારે બલીઠા વાપી નજીક હાઈવે ઉપરના પડેલા ખાડામાં રાષ્ટ્રિય કર્ણી સેનાના કાર્યકરોની કાર ખાડામાં પડતા ટાયર ફાટી ગયું હતું. કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કર્ણી સેનાના ત્રણ સૈનિક ઘાયલ થયા હતા. દમણ કર્ણીસેના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત અને આક્રોશ રાષ્ટ્રિય કર્ણી સેનાના કાર્યકરોમાં ફેલાઈ જવા પામ્યો હતો. જેના પગલે આજે બુધવારે બગવાડા ટોલ પ્લાઝા ઉપર હાઈવે ઓથોરીટીને માથે લઈને ચક્કાજામ કરી હાઈવે પરના ખાડા મરામત કરવાની બુલંદ માંગ કરી હતી.
વલસાડથી વાપી સુધીના નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર અનેક ખાડા પડી ચૂક્યા છે. વાહન ચાલકો વારંવાર પટકાતા જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. હાઈવે ઓથોરીટીની અક્ષમ્યબેદરાકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે. રોજીંદા સર્જાઈ રહેલા અકસ્માત પૈકી કર્ણી સેનાના હોદ્દેદારોને નડેલા અકસ્માતનો ભારે રોષ વ્યાપ્યો છે. આજે બગવાડા ટોલનાકા ઉપર સેનાના સેંકડો કાર્યકરોએ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની સામે આક્રોશ ઠાલવી તાકીદે હાઈવેની મરામત કરવાની માંગણી કરી હતી. જો તેમ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.