રોહિતવાસમાં રહેતા પરમાર પરિવારનું સંપુર્ણ ઘર આગમાં ખાખ થઈ ગયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: અયોધ્યામાં સોમવારે ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. લોકોએ ભક્તિભાવ આનંદ ઉત્સાહમાં અનેક જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરી ઉજવણી કરી હતી પરંતુ વલસાડના ગોરગામમાં રહેતા પરમાર પરિવાર માટે આ ઉત્સવ આનંદ આફતમાં પરિણમ્યો હતો. ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ફટાકડા રોકેટ ફોડીને આનંદ કરતા હતા ત્યાં એક રોકેટ પરમાર પરિવારના ઘરમાં ઘૂસી જતા આખું ઘર આગની લપેટોમાં આવી ખાખ થઈ ગયું હતું.
ગોરગામમાં આવેલ રોહીતવાસમાં મિલનભાઈ પરમાર અને તેમની પત્ની યોગીની પરમાર પરિવાર સાથે રહે છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાત્રે 9 વાગ્યાના સુમારે પરિવાર જમવા બેઠો હતો ત્યારે અચાનક બહારથી એક રોકેટ ઘરમાં આવી પડતા તુરત આગ લાગી હતી. આગે જોતજોતામાં ભિષણ સ્વરૂપ ધારણ કરી દેતા ઘર આખુ ભડભડ બળવા લાગ્યું હતું. પરિવારના સભ્યો સલામત રીતે બહાર દોડી આવ્યા હતા. ગામ લોકો મદદે દોડી આવ્યા હતા પરંતુ તે પહેલાં ઘર બળીને ખાખ થઈ ચૂક્યું હતું. પરમાર પરિવાર માટે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આનંદમાં નહી પણ આફતમાં પરિણમ્યોહતો.