પુરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગેની સમીક્ષા કરતાં પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: નવસારી જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠક પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાદેશિક કમિશનશ્રી અરવિંદ વિજયન, ડીજીવીસીએલના એમ.ડી.સ્નેહલ ભાસ્કર ઉપસ્થિત રહયાં હતાં.
પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાએ નવસારી જિલ્લાની સ્થિતિ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ રાહત/બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી.
સમીક્ષા દરમિયાન તેમણે વરસાદનું જોર ઘટતાં નુકશાનીનો સત્વરે સર્વે કરીને સહાય ચૂકવવાની તાકિદ કરતાં કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે જે વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાય નહિ તે માટે દવાનો છંટકાવ કરવા પર ખાસ ભાર મૂકયો હતો.
પ્રભારી સચિવશ્રીએ માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ સહિતના વિભાગો, ડીજીવીસીએલ, પશુપાલન વિભાગની કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરી પાડયું હતું. તેઓએ નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર ખડેપગે દિવસ-રાત બચાવ/રાહતની કામગીરી કરી છે તે બદલ ટીમ નવસારીની પ્રશંસા કરી હતી.
પ્રભારી સચિવશ્રીએ સ્થળાંતરિત લોકોને આશ્રયસ્થાનોમાં ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થામાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.